Get The App

અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
Mahakumbh Traffic Jam


Mahakumbh Traffic Jam Update: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓની બેઠક યોજી હતી. યુપીના 28 પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભની વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે, જેથી લોકોને જામની સમસ્યામાંથી રાહત મળી શકે. તેમજ અયોધ્યા-કાશીમાં 11 થી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

મહાકુંભમાં દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો કરે છે સ્નાન 

મહાકુંભમાં પાંચમું માઘી પૂર્ણિમા સ્નાન (માઘ પૂર્ણિમા સ્નાન) 12 ફેબ્રુઆરીએ થશે. આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચના આપી છે. છેલ્લા ત્રણ દિવસથી માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહે છે. આમ છતાં મહાકુંભ નગરમાં લોકોના પહોંચવાની પ્રક્રિયા ચાલુ જ છે. મહાકુંભમાં દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો સ્નાન કરે છે.

28 પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભ માટે વિશેષ ફરજ પર

સીએમ યોગી આદિત્યનાથે ભારે ભીડને લઈને મોટી બેઠક યોજી છે. આ બેઠકમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ યોગીએ અધિકારીઓને સૂચના આપી છે કે મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થવી જોઈએ. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને કોઈ બેદરકારી ન રાખવી. યુપીના 28 પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભ માટે વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી યોગીએ મોદી રાત્રે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક ખાસ બેઠક યોજી

સોમવારે મોડી રાત્રે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ સરકારી સ્તરના અધિકારીઓની હાજરીમાં, પ્રયાગરાજ, કૌશામ્બી, કાનપુર, સુલતાનપુર, અમેઠી, વારાણસી, અયોધ્યા, મિર્ઝાપુર, જૌનપુર, ચિત્રકૂટ, બાંદા, પ્રતાપગઢ, ભદોહી, રાયબરેલી, ગોરખપુર, મહોબા અને લખનઉ વગેરે જેવા જિલ્લાઓ, ઝોન અને રેન્જોમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિભાગીય કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને મહાકુંભની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

પ્રયાગરાજ સંગમ સ્ટેશન 9-14 ફેબ્રુઆરી સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ

એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે સ્ટેશનની બહાર આવતા શ્રદ્ધાળુઓને થઈ રહેલી અસુવિધાને કારણે, ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને 9મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાથી 14મી ફેબ્રુઆરીના રોજ સવારે 12:00 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય 8 સ્ટેશનો પરથી નિયમિત અને વિશેષ ટ્રેનો સામાન્ય રીતે ચાલે છે.

કાશીમાં પણ લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે

વારાણસીની પણ આવી જ હાલત છે. કાશીમાં આવી રહેલી મોટી ભીડને જોતા પ્રશાસને શહેરમાં ઘણી જગ્યાએ ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દીધો છે. વારાણસીની બહાર જ બહારના વાહનોને રોકવામાં આવી રહ્યા છે. ભીડવાળી જગ્યાઓ પર સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ભક્તોની ભીડને જોતા અનેક જગ્યાએ રૂટ બદલવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: મહાકુંભમાં ચક્કાજામ બાદ CM યોગીની તાબડતોબ બેઠક, મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ બંધ

દરરોજ 4 થી 6 લાખ શ્રદ્ધાળુઓ કાશી પહોંચી રહ્યા છે

કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ ચારથી છ લાખ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, 9 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ મહાકુંભમાં 43.57 કરોડથી વધુ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું છે. 10 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું.

અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ રહેશે

વધતી ભીડને જોતા અયોધ્યા અને વારાણસીમાં 11 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. અયોધ્યામાં ભીડને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. સિંહે તમામ શાળાઓને આગામી ચાર દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ જો શાળાઓ ઈચ્છે તો તેઓ ઓનલાઈન વર્ગો ચલાવી શકે છે. 

અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન 2 - image



Google NewsGoogle News