અમેઠીમાં 19મીએ રાજકીય પારો ટોચે પહોંચ્યો, રાહુલ અને સ્મૃતિ ઇરાની ફરી એકવાર આમને સામને

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
અમેઠીમાં 19મીએ રાજકીય પારો ટોચે પહોંચ્યો, રાહુલ અને સ્મૃતિ ઇરાની ફરી એકવાર આમને સામને 1 - image


- રાહુલ ગાંધીની ન્યાયયાત્રા સોમવારે અમેઠી પહોંચી, રાહુલ પ્રિયંકાએ રોડ શો કર્યો : ઇરાનીએ ગામોનો પ્રવાસ કર્યો

અમેઠી : પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની મૂળ સીટ અમેઠીમાં આજે (સોમવારે) રાજકીય પારો ટોચે પહોંચ્યો છે. કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા આજે અમેઠી પહોંચી, રાહુલ-પ્રિયંકાએ રોડ શો કર્યો તો આ સ્તર ઉપરથી ૨૦૧૯માં રાહુલ ગાંધીને પરાજિત કરી લોકસભામાં ચૂંટાઈ આવેલા કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઇરાની પણ આજે પોતાના મત ક્ષેત્રમાં પહોંચ્યા.

વાસ્તવમાં અમેઠી તો નહેરૂ-ગાંધી પરિવારની આ વારસાગત સીટ મનાઈ રહી છે.

અલ્હાબાદની નજીક આવેલા આ મત વિસ્તારમાંથી જવાહરલાલ નહેરૂ ચૂંટાઈ આવતા હતા. ત્યાંથી જ સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી સાંસદ બન્યા હતા. ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી અહીંથી જ રાહુલ ગાંધી ચૂંટાઈને સાંસદ બન્યા હતા. તે સમયે સોનિયા ગાંધી પોતાના સાસુમાં ઇન્દિરા ગાંધીની રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા.

૨૦૧૯માં આ પ્રવાહ બદલાઈ ગયો, કોંગ્રેસનો ગઢ મનાતી આ બેઠક ઉપર રાહુલ ગાંધીને પરાજિત કરી, સ્મૃતિ ઇરાની વિજયી થયા. તેઓ કેન્દ્રમાં મંત્રી પણ બન્યા. રાહુલ ગાંધી આજે પોતાની ભારત જોડો ન્યાય યાત્રા લઈને અમેઠી પહોંચ્યા. બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાતે હતા. ત્યાં તેઓએ સંવાદ-યાત્રા કાઢી જે દરમિયાન તેઓ તેમના લોકસભાના મત ક્ષેત્ર તથા તેમાં આવૃત્ત, વિધાનસભા ક્ષેત્રોનાં ગામોની મુલાકાત લીધી. તો રાહુલ - પ્રિયંકાએ આજે અમેઠીમાં ભવ્ય રોડ શો (નગર-યાત્રા) યોજયો હતો. આમ બંને પક્ષના કાર્યકરો પણ કમરકસીને સામસામે આવી ગયા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે રાહુલ ગાંધીને પત્ર લખી તે યાત્રામાં સામેલ થવાની ઇચ્છા દર્શાવી હતી. તેઓએ તેથી આમંત્રિત પણ કરાયા હતા. તેથી તેઓ રાહુલ ગાંધીની જીપના ચાલક બની તેઓની સાથે અમેઠી પહોંચી ગયા હતા.

સહજ રીતે જ રાહુલ-પ્રિયંકાનું અમેઠીના ગૌરીગંજ વિસ્તારમાં પ્રવેશતા ભવ્ય સ્વાગત કરાયું હતું. કોંગ્રેસ, સપા વચ્ચે સીટ વહેંચણીના મતભેદો છતાં અખિલેશ યાદવ તે સમયે જીપની ડ્રાઇવર સીટ ઉપર જ હતા.

રાહુલ અને સ્મૃતિ ઇરાની બંનેએ અલગ અલગ જનસભાઓને સંબોધન કર્યું હતું. તે પૂર્વે ગૌરીગંજ સ્થિત કાર્યાલયમાં કોંગ્રેસના નેતાઓની બેઠક થઈ હતી. જેમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત હતા.


Google NewsGoogle News