મોદી સરકારની ચૂંટણી ભેટ - DAમાં 4% વધારો, LPG સિલિન્ડર પર રૂ.300ની સબસિડી યથાવત્

પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતી સબસિડી વધુ એક વર્ષ લંબાવાઈ, 10 કરોડ પરિવારોને થશે ફાયદો

કેન્દ્રીય કર્મચારી-પેન્શનરોના મોંઘવારી ભથ્થા ચાર ટકાનો વધારો કરાતા DA 50 ટકા પર પહોંચ્યું

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
મોદી સરકારની ચૂંટણી ભેટ - DAમાં 4% વધારો, LPG સિલિન્ડર પર રૂ.300ની સબસિડી યથાવત્ 1 - image


Central Cabinet Decision : લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી અને મહિલા દિવસ પહેલા સરાકે ગરીબ પરિવારોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે પીએમ ઉજ્જવલા યોજના અને સરકારી કર્મચારીઓને ડીએને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે.

પીએમ ઉજ્જવલા યોજનાની સબિસીડીનો લાભ વધુ એક વર્ષ લંબાવાયો

કેન્દ્રીય કેબિનેટે આજે નાણાંકીય વર્ષ 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana)ના લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડી આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ 31 માર્ચ-2025 સુધી સબસિડી આપવામાં આવશે. આ યોજનાની શરૂઆત પહેલી મે-2016માં કરવામાં આવી હતી, જેમાં ગરીબ મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શન (Free LPG Gas Connection) આપવામાં આવે છે. તો હવે સરકારે વધુ એક વર્ષ આ યોજનાને લંબાવી લીધી છે, જેનો સીધો જ ગરીબોને લાભ મળશે.

10 કરોડ પરિવારોને થશે ફાયદો

સરકારના નિર્ણય બાદ 10 કરોડ પરિવારોને ફાયદો થશે. આ ઉપરાંત સરકારી તિજોરી પર 12 હજાર કરોડ રૂપિયાનો બોજો વધશે. આ યોજના હેઠળ સબસિડી આપવાની અંતિમ તારીખ 31 માર્ચ-2024 હતી, જોકે તેમાં વધુ એક વર્ષનો વધારો કરાતા હવે 31 માર્ચ-2025 સુધી લાભ મળશે.

સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લઈ મોંઘવારી ભથ્થા (DA Hike)માં ચાર ટકાનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ ડીએ વધીને 50 ટકા પર પહોંચી ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું (Dearness Allowance) અને મોંઘવારી રાહત (Dearness Relief) 50 ટકા મુજબ અપાશે. આ વધારો પહેલી જાન્યુઆરી-2024થી લાગુ થશે. જેનો લાખો કર્મચારીઓને લાભ મળશે. આ નિર્ણય બાદ 48.67 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનરોને લાભ થશે.


Google NewsGoogle News