આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય
PM Modi On Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા છે. તેમણે પરત ફરતી વખતે જ મોટો નિર્ણય લેતાં પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો છે. તેમણે પરત ફરતી વખતે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 17થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે. મોતનો આંકડો સતત વધી રહ્યો છે.
PM મોદી મંગળવારે સાઉદી અરેબિયા ગયા હતા. તે સમયે તેમણે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના હવાઈ રૂટ મારફત સાઉદી અરેબિયા ગયા હતા. પરંતુ જેદ્દાહથી પરત ફરતી વખતે તેમણે પાકિસ્તાનના હવાઈ રૂટ પર ઉડાન ભરી ન હતી. વડાપ્રધાન IAF બોઇંગ 777-300 (K7067) પાકિસ્તાન, ઓમાનના હવાઈ માર્ગે સાઉદી અરેબિયા ગયા હતા. પરંતુ પાછા ભારત ફરતી વખતે PMનું વિમાન ઓમાન બાદ સીધું ભારતની સરહદમાં પ્રવેશ્યું હતું. ગુજરાત, રાજસ્થાનના માર્ગે નવી દિલ્હી પહોંચ્યું હતું.
આ પણ વાંચોઃ સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક
ઇન્ટેલિજન્સે આપી માહિતી
ગઈકાલે સાંજે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ પોતાની યાત્રા અધવચ્ચે અટકાવી દીધી હતી. તેઓ નવી દિલ્હી આવવા રવાના થયા હોવાની માહિતી ઇન્ટેલિજન્સે આપી હતી. દિલ્હી પરત ફરતાં જ ઍરપોર્ટ પર વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે મહત્ત્વની બેઠક કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી. ત્યારબાદ તેઓ પીએમઓ જવા રવાના થયા હતા. વડાપ્રધાને આ ઘાતકી આતંકી હુમલો કરનારા આતંકીઓ વિરુદ્ધ આકરાં પગલાં લેવાનો સંકેત આપ્યો હતો. આજે સાંજે છ વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક યોજાશે.
આતંકી હુમલામાં નિર્દોષની હત્યા
પહલગામની બેસરન ખીણમાં ગઈકાલે બુધવારે સાંજે અચાનક આતંકવાદીઓ ત્રાટક્યા હતા. તેમણે પ્રવાસીઓ અને સ્થાનિકોને ટાર્ગેટ બનાવી અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. જેમાં લોકોને નામ અને ધર્મ પૂછીને નિશાન બનાવવામાં આવ્યા હતા. અત્યારસુધી આ હુમલામાં 28 લોકોના મોત થયા છે.