નોબેલ પ્રાઇઝ વિજેતા પૂર્વ સોવિયેત પ્રમુખ ગોર્બાચોવનાં નિધન અંગે વડાપ્રધાન મોદીએ પાઠવેલો શોક સંદેશો
- 20મી સદીના તેઓ એક મહાન રાજપુરૂષ હતા : ઇતિહાસ ઉપર તેઓ કદી ન ભૂલાય તેવી છાપ મૂકતા ગયા છે
નવી દિલ્હી : શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ મેળવનાર પૂર્વ સોવિયેત નેતા, મિખાઇલ એસ.ગોર્બોચોવનાં નિધન અંગે પાઠવેલા શોક સંદેશામાં વડા પ્રધાન મોદીએ તેઓને ૨૦મી સદીના એક મહાન રાજપુરૂષ કહેવા સાથે જણાવ્યું હતું કે ઇતિહાસ ઉપર તેઓ કદી ન ભૂલાય તેવી છાપ મુકતા ગયા છે.
લાંબી બિમારી બાદ ગૌર્બોચોવનુંમોસ્કોની એક હોસ્પિટલમાં ૯૧ વર્ષે મંગળવારે નિધન થયું હતું.
રશિયાનાં પ્રસાર માધ્યમો આ માહિતી આપતાં જણાવે છે કે તેઓનાં નિધન પછી દુનિયાભરમાંથી શોક સંદેશાઓનો ધોધ ચાલી રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટ ઉપરના શોક-સંદેશામાં જણાવ્યું હતું કે શ્રી ગોર્બાચાવનાં નિધન અંગે, હું તેઓનાં કુટુમ્બીજનો અને મિત્રોને અંતરથી આશ્વાસન પાઠવું છું. તેઓ ૨૦મી સદીના એક મહાન રાજપુરૂષ હતા, અને ઇતિહાસ કદી ન ભૂંસાઈ તેવી છાપ તેઓ મુકતા ગયા છે. ભારત-રશિયા સંબંધો મજબૂત કરવામાં તેઓએ કરેલું પ્રદાન અત્યારે યાદ આવે છે.
ગોર્બોચોવ અખંડ સોવિયેત સંઘના છેલ્લા પ્રમુખ હતા. તેઓ ૧૯૮૫થી '૯૧ સુધી સોવિયેત સંઘના પ્રમુખ પદે હતા. ૧૯૯૧માંસોવિયેત સંઘનું વિસર્જન થયું. તેઓ ૧૯૮૬ અને ૧૯૮૮માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
અમેરિકાના તે સમયના પ્રમુખ રોનાલ્ડ રીગન સાથે ઐતિહાસિક પરમાણુ કરારો માટે તેઓને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
ગોર્બાચેવની અંતિમક્રિયા ૩જી સપ્ટેમ્બરે યોજાવાની છે.