'મારા લાડલા CM નીતિશ કુમાર', બિહારમાં બોલ્યા વડાપ્રધાન મોદી, લાલુ પ્રસાદ પર કર્યા આકરા પ્રહાર
Image Source: Twitter
PM Modi in Bhagalpur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં પહોંચ્યા છે. અહીં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જારી કર્યો અને વિભિન્ન વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના લાડલા ગણાવ્યા. એટલું જ નહીં પ્રયાગરાજ મહાકુંભને લઈને પીએમ મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર પણ નિશાન સાધ્યું.
પીએમ મોદીએ મહાકુંભ મહોત્સવ અંગે કહ્યું કે, મહાકુંભ ચાલી રહ્યો છે પરંતુ જંગલ રાજના આ લોકો મહાકુંભને ગાળો આપી રહ્યા છે, રામ મંદિરથી ચિઢાઈ જતા લોકો મહાકુંભને કોસવાનો એક મોકો નથી છોડી રહ્યા. મહાકુંભને કોસનારાને બિહાર ક્યારેય માફ નહીં કરે. વાસ્તવમાં થોડા દિવસો પહેલા લાલુ યાદવે મહાકુંભ અંગે કહ્યું હતું કે, 'કુંભનો શું અર્થ છે, કુંભ તો ફાલતૂ છે.'
મહાકુંભ દરમિયાન મંદરાચલની આ ભૂમિ પર આવવું સૌભાગ્યની વાત
પીએમએ મોદીએ આગળ કહ્યું કે, 'મહાકુંભ દરમિયાન મંદરાચલની આ ભૂમિ પર આવવું એ સૌભાગ્યની વાત છે. આ ધરતીમાં આસ્થા પણ છે અને વારસો પણ છે તથા વિકસિત ભારતનું સામર્થ્ય પણ છે. આ શહીદ તિલકા માંઝીની ધરતી છે. આ સિલ્ક સિટી પણ છે. આ સમયે બાબા અજયબીનાથની આ પવિત્ર ધરતીમાં મહાશિવરાત્રીની પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવા પવિત્ર સમયમાં મને દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન નિધિનો બીજો હપ્તો મોકલવાનું સૌભાગ્ય મળ્યું છે.'
કિસાન કલ્યાણ NDAની પ્રાથમિકતા
ભાગલપુરમાં પીએમ મોદીએ કહ્યું કે, 'મેં લાલ કિલ્લાને કહ્યું છે કે, વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભ છે. આ સ્તંભ ગરીબ, ખેડૂત, મહિલા અને જવાન છે. NDA સરકાર ભલે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં ખેડૂત કલ્યાણ અમારી પ્રાથમિકતા છે.'
NDAએ સ્થિતિ બદલી
લાલુ યાદવ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, પહેલા ખેડૂતો સંકટથી ઘેરાયેલા હતા. જે લોકો પશુઓનો ચારો ખાઈ શકે છે તેઓ આ પરિસ્થિતિઓને ક્યારેય બદલી ન શકે. NDA સરકારે આ સ્થિતિને બદલી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમે ખેડૂતોને સેંકડો આધુનિક જાતોના બિયારણ પૂરા પાડ્યા છે. પહેલા ખેડૂતોને યુરિયા માટે માર ખાવો પડતો હતો અને યુરિયાનું કાળાબજાર થતું હતું. આજે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે છે. અમે કોરોના મહામારી દરમિયાન પણ ખેડૂતોને ખાતરની અછત ન પડવા દીધી. જો NDA સરકાર ન હોત તો શું થયું હોત? જો NDA સરકાર ન હોત તો આજે પણ ખેડૂતોને ખાતર માટે લાઠી ખાવી પડતી હોત. જો આજે NDA સરકાર ન હોત તો ખેડૂતોને 3,000 રૂપિયામાં યુરિયાની થેલી મળી રહી હોત.