શહીદ ભગત સિંહની જન્મજયંતિ પર PM મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- હંમેશા યાદ કરવામાં આવશે
Image Source: Twitter
- ભગતસિંહને 22 માર્ચ 1932ના રોજ ફાંસી આપવામાં આવી હતી
નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર
હસતા-હસતા દેશ માટે પોતાનો જીવ અર્પણ કરી દેનારા શહીદ ભગત સિંહની આજે જન્મજયંતિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગત સિંહની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, શહીદ ભગત સિંહ હંમેશા ન્યાય અને સ્વતંત્રતા માટે ભારતની અવિરત લડાઈનું પ્રતીક રહેશે.
પીએમ મોદીએ સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને કહ્યું કે, શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર યાદ કરી રહ્યો છું. ભારતની આઝાદી માટે તેમનું બલિદાન અને અતૂટ સમર્પણ પેઢીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. સાહસની પ્રતિમૂર્તિના રૂપમાં તેઓ હંમેશા ન્યાય અને સ્વતંત્રતા માટે ભારતની અવિરત લડાઈનું પ્રતીક રહેશે.
ક્રાંતિકારી ભગતસિંહનો જન્મ તત્કાલિન સંયુક્ત પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામના ક્રાંતિકારી પરિવારમાં માતા વિદ્યાવતીને ત્યાં થયો હતો. તેઓ ક્રાંતિકારી કિશન સિંહના પત્ની અને અજીત સિંહના ભાભી હતા. બાળકના જન્મ દિવસે જ પિતા અને કાકા જેલમાંથી મુક્ત થયા હત તેથી જ તેમનું નામ ભાગોંવાલા અર્થાત ભાગ્યવાન માનવામાં આવ્યું હતું. આ જ કારણ હતું કે તેમનું નામ ભગતસિંહ રાખવામાં આવ્યું.
માત્ર 23 વર્ષની ઉંમરમાં એક દિવસ પહેલા ફાંસી આપવામાં આવી
ભગતસિંહને 23 માર્ચ 1931ના રોજ જ સમય પહેલા ફાંસી આપી દેવામાં આવી હતી. તેમને ફાંસી આપ્યા બાદ પંજાબના કેટલાક વિસ્તારોમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. બ્રિટિશ સરકારે પોતે તેને ફાંસી આપતા પહેલા તેમને ઝુકાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ભગતસિંહ ખૂબ જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેઓ લેનિનના વિચારોના સમર્થક હતા.
આઝાદીની લડાઈથી લઈને આજ સુધી તમામ રેલી, આંદોલન અને પ્રદર્શનોમાં બોલાતો 'ઈન્કલાબ જિંદાબાદ'નો નારો પહેલીવાર તેઓ જ બોલ્યા હતા. તેમના દ્વારા જ બોલાયેલો આ નારો ખૂબ પ્રચલિત બન્યો હતો. અસેમ્બલીમાં ધમાકો કરીને પોતાનો અવાજ બ્રિટિશ સરકારના કાનો સુધી પહોંચાડનારા શહીદ ભગત સિંહ જ હતા. તેમણે કહ્યું હતું કે, બહેરાઓને સંભળાવવા માટે ધમાકાની જરૂર હોય છે.