PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા
Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં નજરે આવી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા બાદ વધુ આકરા પગલા ભરાવ અને રણનીતિ ઘડવા માટે આજે (29 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને ત્રણ કલાક સુધી યોજાયેલી હાઈ લેવલ બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં શું થઈ ચર્ચા?
બેઠકમાં પહલગામ બાદની સુરક્ષા સ્થિતિ, આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનો અને આગામી રણનીતિ પર ઊંડી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં હુમલાની પરિસ્થિતિઓ, સુરક્ષા દળોની કાર્યવાહી અને આગામી રણનીતિ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને પહલગામ હુમલાના દોષિતોને કડકમાં કડક સજા કરવામાં નિર્દેશ આપ્યા છે. તેમણે અમરનાથ યાત્રા સહિતની નાગરિક ગતિવિધિઓની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક ન થાય, તે પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે.
પહલગામ હુમલામાં 26 પ્રવાસીઓના થયા હતા મોત
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પગલગામમાં 22 એપ્રિલેના રોજ આતંકવાદીઓએ ભયાનક આતંકી હુમલો કર્યો હતો. આતંકીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઉપરાંત અનેક લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારતની પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરતા પાકિસ્તાને નફ્ફટાઈની હદ વટાવી ભારતને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. બીજીતરફ હુમલાની ઘટના બાદ સુરક્ષા દળના જવાનો આખા જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સુરક્ષા દળની ટીમો ખુણે-ખાંચરે પહોંચી તમામ સ્થળે કોમ્બિંગ કરી રહી છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે, જેના કારણે ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે.