'ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને...', વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન
PM Modi on Waqf Bill 2024: વક્ફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું. જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે 95એ વિરોધ કર્યો હતો. હવે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ આને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે.
બિલ પાસ થવું એ વિકાસની દિશામાં એક મોટું પગલું છે
પીએમ મોદીએ X પર લખ્યું હતું કે, સંસદ દ્વારા વક્ફ સંશોધન બિલ અને મુસ્લિમ વક્ફ (રદવા) બિલ પાસ થવું એ સામાજિક અને આર્થિક ન્યાય, પારદર્શિતા અને બધા માટે વિકાસની દિશામાં એક મોટું પગલું છે. આનાથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને અત્યાર સુધીમાં જેમનું કોઈએ સાંભળ્યું નથી કે તેમને તક નથી મળી.'
સૂચનો મોકલવા બદલ દેશવાસીઓનો આભાર
આ અંગે વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, 'હું એ તમામ સાંસદોનો આભાર માનું છું જેમણે સંસદ અને સમિતિઓની બેઠકોમાં ભાગ લીધો અને પોતાના સૂચનો આપ્યા. હું દેશવાસીઓનો પણ આભારી છું જેમણે સમિતિઓને સૂચનો મોકલ્યા. આ બતાવે છે કે સાથે મળીને વાત કરવી કેટલી મહત્ત્વપૂર્ણ છે.'
લોકોના અધિકારોનું રક્ષણ કરશે
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 'ઘણા વર્ષોથી વક્ફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હતો, જેના કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમોને નુકસાન થયું હતું. હવે જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તે આ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને લોકોના અધિકારોનું રક્ષણ કરશે.'
આ પણ વાંચો: સવારના 4 વાગ્યા સુધી સંસદમાં મણિપુર અંગે ચર્ચા, ગૃહમંત્રીએ 260 મોતનું સત્ય સ્વીકાર્યું
પીએમ મોદીએ વધુમાં કહ્યું, 'અમે હવે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં વ્યવસ્થા વધુ આધુનિક અને ન્યાયી હશે. અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક નાગરિકને સન્માન અને સમાનતા મળે. આ માર્ગને અનુસરીને, અમે એક મજબૂત, સર્વસમાવેશક અને દયાળુ ભારતનું નિર્માણ કરીશું.'