પાંચ વર્ષ કઈ રીતે સરકાર ચલાવશે મોદી? ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
પાંચ વર્ષ કઈ રીતે સરકાર ચલાવશે મોદી? ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ 1 - image


PM Modi Cabinet Controversy : દેશમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળી લીધું છે. લોકસભા ચૂંટણી-2024માં ભાજપે 240 બેઠકો જીતી છે, જ્યારે તેમની આગેવાની હેઠળ એનડીએએ 293 બેઠકો પર જીત મેળવી છે. વર્ષ 2014ની ચૂંટણી ભાજપે 282 અને 2019માં 303 બેઠકો જીતી પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવી હતી, જોકે આ વખતે ગણિત બદલાઈ ગયું છે. ભાજપે બહુમતીના 272 જાદુઈ આંકડાથી થોડે દુર 240 બેઠકો જીતી હોવાથી તેણે તેમણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાથી પક્ષોને સહારે સરકાર બનાવી છે. ત્યારે હવે NDAના સાથી પક્ષમાં ખટપટ શરૂ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેબિનેટમાં સ્થાન ન મળતા ભાજપા ઘણા સાથી પક્ષોની નારાજગી ખુલ્લેઆમ સામે આવવા લાગી છે. કેબિનેટમાં મંત્રી પદ ન મળવાના કારણે માત્ર શિવસેના (Shiv Sena) અને NCP જ નહીં, ઑલ ઝારખન્ડ્સ સ્ટૂડેન્ટ્સ યુનિયન (AJSU) પણ નારાજ છે.

પાંચ વર્ષ કઈ રીતે સરકાર ચલાવશે મોદી? ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ 2 - image
શ્રીરંગ બારણે, એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના ચીફ વ્હીપ 

શિંદેના નેતાએ નારાજ થઈ જાહેરમાં બળાપો કાઢ્યો

સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં કેબિનેટનો મુદ્દો જાહેરમાં ચર્ચાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની એનસીપીને મોદી કેબિનેટમાં સ્થાન મળતા નારાજ થયા છે. કેબિનેટમાં શિંદે જૂથને એક રાજ્ય મંત્રી (સ્વંત્ર પ્રભાર) અપાયું છે, જેના કારણે શિંદેના નેતા શ્રીરંગ બારણે નારાજ થયા છે. બારણેએ કહ્યું કે, એનડીએમાં ચાર અને પાંચ બેઠકો જીતનારી પાર્ટીને કેબિનેટ અપાયું અને મહારાષ્ટ્રમાં અમે સાત બેઠકો જીતી, છતાં એકપણ કેબિનેટ પદ અપાયું નથી.

પાંચ વર્ષ કઈ રીતે સરકાર ચલાવશે મોદી? ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ 3 - image
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે

મહારાષ્ટ્રમાં કેબિનેટ મુદ્દે ગરમાગરમી

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ બારણેના નિવેદનને પાયાવિહોણા ગણાવી મોદી સરકારને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમે પહેલેથી જ સ્પષ્ટ કહ્યું હતું કે, અમે કોઈપણ શરત રાખ્યા વગર મોદી સરકારને સમર્થન આપીશું. દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની જરૂર છે. સત્તા માટે કોઈપણ સોદાબાજી અથવા વાતચીત નથી. અમે ઈચ્છીએ છીએ કે, વડાપ્રધાન મોદી રાષ્ટ્ર નિર્માણના મહાન કાર્યને આગળ વધારે. અમારી પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો એનડીએ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા સાથે પ્રતિબદ્ધ છે.

પાંચ વર્ષ કઈ રીતે સરકાર ચલાવશે મોદી? ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ 4 - image
પ્રફુલ પટેલ, અજીત જૂથના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ 

એનસીપીની હાલત શિવસેના જેવી

શ્રીકાંત શિંદેએ ભલે બારણેના નિવેદનને નકાર દીધું હોય, પરંતુ એનડીએમાં ખટપટ અને જગ્યા પણ દેખાઈ રહી છે. અજિતની એનસીપી પણ કેબિનેટમાં જગ્યા ન મળતા નારાજ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી પ્રફુલ્લ પટેલને કેન્દ્રમાં મોકલવા માંગે છે, જોકે એવું ન થયું. ભાજપ દ્વારા એનસીપીને રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર)ની ઓફર કરાઈ હતી, પરંતુ એનસીપીએ ફગાવી દીધી હતી. એનસીપી કેબિનેટ મંત્રી સિવાય કંઈપણ લેવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ્લ પટેલ અગાઉ કેબિનેટ મંત્રી હતા. અજિત પવારની એનસીપીએ રાજ્યની ચાર બેઠકો પર ચૂંટણી લડી, પરંતુ તેઓ માત્ર એક બેઠક જીત્યા છે.

પાંચ વર્ષ કઈ રીતે સરકાર ચલાવશે મોદી? ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ 5 - image
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજીત જૂથ

અજિત પવાર પણ નારાજ?

સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને મોદી સરકારમાં રાજ્યમંત્રી પદની ઓફર કરાઈ હતી, પરંતુ તેમણે એવું કહીને ઈન્કાર કર્યો હતો કે, તેઓ કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે અને આ ઓફરથી ડિમોશન થશે. જ્યારથી એનસીપીએ મોદી સરકારની ઓફર નકારી કાઢી છે, ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ ચાલી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, બિહારમાં જીતન રામ માંઝીને કેબિનેટમાં સામેલ કરાયા હોવાથી એનસીપી નારાજ થયું છે. માંઝીની પાર્ટીએ પણ બિહારમાં એક જ બેઠક જીતી છે.

પાંચ વર્ષ કઈ રીતે સરકાર ચલાવશે મોદી? ત્રણ જ દિવસમાં ત્રણ પક્ષો નારાજ 6 - image
ચંદ્રપ્રકાશ ચૌધરી, AJSU, ઝારખંડની ગિરિડીહ લોકસભા બેઠક પરના વિજેતા સાંસદ

ઝારખંડમાં આજસૂ પણ નારાજ

બીજીતરફ ગિરિડીહ લોકસભા બેઠકથી સતત બીજી વખત જીતનો ઝંડો લહેરાવનારા આજસૂના સાંસદ ચંદ્રપ્રકાશ ચૌધરી (Chandra Prakash Choudhary) પણ કેબિનેટમાં સ્થાન ન મળતા નારાજ છે. તેમણે એજેએસયુને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન ન મળવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, એનડીએના સાથી પક્ષોની બેઠકમાં દરેકને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનું કહેવાયું હતું. પરંતુ મોદી કેબિનેટમાં AJSU પાર્ટીની અવગણના કરાઈ છે. ગઠબંધન ધર્મ હેઠળ તમામ પક્ષોનું સન્માન કરવું જોઈએ અને પાર્ટી સ્તરે આપણે બધા આ બાબતે વિચારણા કરીને ભાવિ રણનીતિ નક્કી કરીશું. જો કે AJSU ચીફ સુદેશ મહતોએ હજુ સુધી આ અંગે ખુલીને કશું કહ્યું નથી.


Google NewsGoogle News