મા ગંગાએ પહેલા મને કાશી બોલાવ્યો, હવે તો લાગે છે કે તેમણે મને દત્તક જ લઈ લીધો છે: PM મોદી
PM Modi In Uttarakhand: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (6 માર્ચ) ઉત્તરાખંડના પ્રવાસે છે. અહીં મુખબા ખાતે મા ગંગાની પૂજા કર્યા બાદ તેમણે હર્ષિલમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે સૌથી પહેલા ઉત્તરાખંડના માના ગામમાં હિમસ્ખલનના કારણે થયેલા મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જે દુર્ઘટના ઘટી છે તેના માટે હું દુઃખ વ્યક્ત કરું છું. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે.'
વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડ સાથે જોડાયેલી પોતાની જૂની યાદો અને મુલાકાતોને યાદ કરતાં કહ્યું કે, 'વર્તમાનમાં ઉત્તરાખંડનો દાયકો છે. ઉત્તરાખંડમાં કોઈ ઑફ સિઝન ન હોવી જોઈએ. અહીંના સ્થળો પર્યટન માટે રોજ ચાલુ હોવા જોઈએ.'
આ દેવભૂમિ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર
વડાપ્રધાને નિવેદન આપ્યું કે, 'ઉત્તરાખંડની આ દેવભૂમિ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર છે. તેના પર ચારધામ અને અનંત તીર્થના આશીર્વાદ છે. હું માનું છું કે મા ગંગાના આશીર્વાદથી હું કાશી પહોંચ્યો છું અને સાંસદ તરીકે કાશીની સેવા કરી રહ્યો છું. મા ગંગાએ મને બોલાવ્યો હતો. થોડા મહિના પહેલાં જ મને લાગ્યું કે મા ગંગાએ મને દત્તક લીધો છે. તેમના પ્રેમને કારણે જ આજે હું મારા મોસાળ મુખબા ગામે આવ્યો છું.'
કોઈપણ સિઝન હોય, ટુરિઝમ ચાલુ રહેવું જોઈએ
વડાપ્રધાને આગળ કહ્યું કે, 'થોડા વર્ષો પહેલાં જ્યારે હું બાબા કેદારનાથના દર્શન કરવા ગયો હતો ત્યારે મેં કહ્યું હતું કે, આ દશકો ઉત્તરાખંડનો હશે, તે શબ્દો મારા હતા, લાગણીઓ મારી હતી, પરંતુ તેની પાછળની શક્તિ બાબા કેદારનાથની જ હતી. બાબા કેદારના આશીર્વાદથી, તે શબ્દો, તે લાગણીઓ સત્ય અને વાસ્તવિકતામાં ફેરવાઈ રહી છે. આ દાયકો ઉત્તરાખંડનો બની રહ્યો છે. હું ઈચ્છું છું કે ગમે તે સિઝન હોય પણ ટુરિઝમ ચાલુ રહે. શિયાળામાં રિસોર્ટ્સ ખાલી રહે છે, આનાથી આર્થિક અસંતુલન સર્જાય છે. દેશ-વિદેશથી મુલાકાત લેતાં લોકોને આ સ્થળ પર આધ્યાત્મિક આભાની વાસ્તવિક ઝલક જોવા મળશે.'
'કેદારનાથ યાત્રા 30 મિનિટમાં પૂર્ણ થશે'
વડાપ્રધાને કહ્યું કે, 'અમારી ડબલ એન્જિન સરકાર ઉત્તરાખંડને વિકસિત રાજ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. કેન્દ્રીય કેબિનેટે કેદારનાથ રોપવે પ્રોજેક્ટ અને હેમકુંડ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કેદારનાથ રોપવેના નિર્માણ બાદ કેદારનાથ યાત્રા હાલ લાગતા 8-9 કલાકના સમયના બદલે હવે માત્ર 30 મિનિટમાં પૂર્ણ થશે. તેનાથી વૃદ્ધો અને બાળકો માટે કેદારનાથ યાત્રા વધુ સુવિધાજનક બનશે.'