રેખા ગુપ્તાને CM બનાવાતા પરવેશ વર્મા નારાજ? કહ્યું- અંતિમ શ્વાસ સુધી ભાજપમાં જ રહીશ
Parvesh Verma on Delhi Deputy CM Post: રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીને મહિલા મુખ્યમંત્રી મળવાની ચર્ચા ચાલી રહી હતી. અંતે શાલીમાર બાગ બેઠકથી જીતીને આવેલા રેખા ગુપ્તાએ દિલ્હીની રેસમાં બાજી મારી લીધી છે. રેખા ગુપ્તાએ આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જોકે, દિલ્હી સીએમની રેસમાં પરવેશ વર્માનું નામ સૌથી આગળ હતું. ત્યારે હવે પરવેશ વર્માએ કહ્યું કે, 'હું સમજું છું કે, દિલ્હી પ્રત્યે અમારી ઘણી મોટી જવાબદારી છે. જનતાએ અમને ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ આપ્યા. હું પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા માગું છું, તેમના વિકાસ પર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો. દિલ્હીની જનતાને વિશ્વાસ છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે દિલ્હીને વિશ્વની સૌથી સુંદર રાજધાની બનાવવામાં સફળ થઈશું.'
પરવેશ વર્માએ આગળ કહ્યું કે, 'હું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું. તેમના નેતૃત્વમાં અમને સારું માર્ગદર્શન મળ્યું અને ભાજપની સરકાર બની શકી. હું દિલ્હીના તમામ ભાજપના કાર્યકર્તાઓને શુભકામનાઓ પાઠવું છું. તેમની સખત મહેનત રંગ લાવી. હું દિલ્હીની જનતાનો પણ આભાર માનું છું કે તેમણે ભાજપને 48 બેઠકો પર જીતાડીને સરકાર બનાવી.'
આ પણ વાંચો: રેખા ગુપ્તા બન્યા દિલ્હીના CM, રામલીલા મેદાનમાં થઈ શપથવિધિ: NDAના દિગ્ગજો પણ હાજર
તેમણે આગળ કહ્યું કે, 'આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. અમારો વિકસિત દિલ્હીનો વાયદો અમે ચોક્કસ પૂર્ણ કરીશું. અમારા ચૂંટણી ઢંઢેરામાં અમે જે પણ વાયદા કર્યા છે, તેને પૂરા કરીશું. અમે તેના માટે સંકલ્પબદ્ધ છીએ.'
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમે ડેપ્યુટી સીએમ બની રહ્યા છો? તેના જવાબમાં પરવેશ વર્માએ કહ્યું કે, 'હું હંમેશા કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર છું અને હંમેશા રહીશ. હું મારા અંતિમ શ્વાસ સુધી ભાજપમાં જ રહીશ. ભાજપે મારા પિતાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા હતા અને તેમને ભારતના મંત્રી પણ બનાવ્યા હતા. તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી પૂરી પ્રામાણિકતાથી પાર્ટીની સેવા કરતા રહ્યા. પાર્ટીએ મને આજે જે પણ જવાબદારી સોંપી છે અને આપતા રહેશે, તે હું નિભાવતો રહીશ.'
શું રેખા ગુપ્તાએ બાજી મારી લીધી?
પરવેશ વર્માને પૂછવામાં આવ્યું કે શું રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે બાજી મારી લીધી અને તમે પાછળ રહી ગયા? આ સવાલના જવાબમાં પરવેશ વર્માએ કહ્યું કે, મને એવું નથી લાગતું. આજે આખી દિલ્હીમાં ખુશીનો માહોલ છે. ભાજપના હજારો કાર્યકરો અહીં આવ્યા છે. મારા સમર્થકો પણ ખૂબ ખુશ છે.