BIG NEWS: પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી, અનંતગામમાં 175ની અટકાયત
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આશરે 175 સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય એજન્સીઓની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરી આખા જિલ્લામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.
અનેક સ્થળો પર દરોડા
સુરક્ષાદળોએ આ સર્ચ ઓપરેશનના ભાગરૂપે અનંતનાગ જિલ્લાના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આકરી સતર્કતા સાથે રાત-દિવસ સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. પહલગામ હુમલામાં આતંકવાદીઓની મદદ કરનારાનું નેટવર્ક તોડી પાડવાના ભાગરૂપે 175 સંદિગ્ધોની અટકાયત કરી હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું છે. હુમલામાં ઓળખ થયેલા સ્થાનિક આતંકવાદીઓના ઘર પર કાર્યવાહી તેમજ શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે ભારતીય સેનાએ એક આતંકવાદીનું ઘર બોમ્બથી ઉડાવી દીધુ હતું, જ્યારે અન્ય એક આતંકીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
અનંતનાગ જિલ્લાના પ્રસિદ્ધ રિસોર્ટ પહલગામમાં બૈસરન ખીણમાં મંગળવારે (22 એપ્રિલ) ખુલ્લા મેદાનમાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર કરી 26 લોકોના જીવ લીધા હતાં. આ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ એકજૂટ થઈ કાશ્મીરમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આખા જિલ્લામાં વધારાના મોબાઈલ વાહન ચેક પોઈન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
હુમલાની જવાબદારી લેનારા ટીઆરએફે પલટી મારી
પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર ચારેકોરથી દબાણ થઈ રહ્યું છે. તમામ દેશ ભારત સાથે ઉભા છે. એવામાં ટીઆરએફની આ પલટી પાકિસ્તાન સરકારના કહેવા પર કરવામાં આવી હોવાના અહેવાલો ફરતા થયા છે. પહલગામ હુમલા બાદ ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે એકાએક પલટી મારતાં ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોવાનું નિવેદન આપતાં સૌ કોઈ ચૌંકી ગયા છે. ગઈકાલે ટીઆરએફ દ્વારા આ જાહેરાત થયા બાદ આજે પાકિસ્તાનના વડાપ્રધાને સ્વતંત્ર તપાસની માગ કરી છે.