સભાપતિ ધનખડ સામે આર-પારના મૂડમાં વિપક્ષ, મહાભિયોગ પ્રસ્તાવ લાવી પદેથી હટાવવાની તૈયારી

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
સભાપતિ ધનખડ સામે આર-પારના મૂડમાં વિપક્ષ, મહાભિયોગ પ્રસ્તાવ લાવી પદેથી હટાવવાની તૈયારી 1 - image


Image: Facebook

Impeachment Motion: વિપક્ષ રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ કલમ 67 હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યસભામાં શુક્રવારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સભાપતિ જગદીપ ધનખડના ટોન પર સવાલ ઉઠાવ્યા. સભાપતિ જગદીપ ધનખડ ભડક્યા અને તેમને યોગ્ય વર્તનની સલાહ આપી. તે બાદ વિપક્ષી સભ્યોએ 'દાદાગીરી નહીં ચલેગી' ના સૂત્રોચ્ચાર કરતાં વોકઆઉટ કરી દીધું. રાજ્યસભામાં વિપક્ષના વર્તનને અયોગ્ય ગણાવતાં નિંદા પ્રસ્તાવ પણ પસાર થયો. હોબાળા અને નિંદા પ્રસ્તાવ બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ. 

કલમ 67 શું છે?

કલમ 67 (બી) અનુસાર  ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોના બહુમત દ્વારા પસાર અને લોકસભા દ્વારા સંમત એક પ્રસ્તાવ દ્વારા તેમના પદેથી હટાવી શકાય છે. આ માટે 14 દિવસની નોટિસ આપવી જોઈએ. 

ક્યાંથી શરૂ થયો વિવાદ 

રાજ્યસભામાં વિપક્ષે મલ્લિકાર્જુન ખડગે અંગે ઘનશ્યામ તિવારી તરફથી કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ઉઠાવ્યો. જયરામ રમેશે કહ્યું કે અમુક વાંધાજનક વાતો કહેવામાં આવી હતી. તેની પર તમે કહ્યું હતું કે રુલિંગ આપીશું. તે રુલિંગ શું છે? તેના જવાબમાં સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને ઘનશ્યામ તિવારી બંને મારી ચેમ્બરમાં આવ્યા હતાં. એક-એક બાબત પર નજર રાખવામાં આવી. 

જયરામ રમેશે માફીની માગ ઉઠાવી

જયરામ રમેશે જણાવ્યુ કે ઘનશ્યામ તિવારીએ કહ્યું હતું કે જો કંઈ પણ વાંધાજનક હોય તો હું ગૃહમાં માફી માગવા તૈયાર છું. ખડગેજી પણ આની પર સંમત હતાં કે કંઈ પણ વાંધાજનક નથી. તે સમયે સમજાયુ નહોતું. મલ્લિકાર્જુન ખડગેના વખાણ કરતાં ઘનશ્યામ તિવારીએ શ્રેષ્ઠ વાતો કહી હતી. કંઈ પણ વાંધાજનક નહોતુ. આ મુદ્દે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વાતો ગૃહે પણ જાણવી જોઈએ. સભાપતિએ કહ્યું કે ઘનશ્યામ તિવારીએ સંસદીય ભાષામાં પોતાની વાતો કહી. 

જયરામ રમેશે માફી માગવાની માગ કરી. તેની પર સભાપતિએ કહ્યું કે પ્રશંસા માટે કોઈ માફી માગતું નથી. તેઓ માફી માગશે નહીં. પ્રમોદ તિવારીએ કહ્યું કે જે શબ્દ કહ્યા હતાં, તેનું પુનરાવર્તન નથી ઈચ્છતાં. જે ટોન હતો, તે વિપક્ષના નેતા માટે યોગ્ય નહોતો. જયરામ રમેશે કહ્યું કે પરિવારવાદનો આરોપ હતો, પરિવારવાદની વાત હતી. 

તમે સેલિબ્રિટી હશો પરંતુ અહીં તમારે સદનની ગરિમા રાખવી પડશે

જયા બચ્ચને જગદીપ ધનખડને સંભળાવતા કહ્યું કે હું એક અભિનેત્રી છું અને હાવભાવ સમજી જઉં છું. ધનખડજી મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. રાજ્યસભામાં આપણે બધા એક સાથી છીએ. સભાપતિ ધનખડે જવાબ આપ્યો કે જયાજી તમે મહાન સિદ્ધિ મેળવી છે. તમે જાણો છો કે એક એક્ટર, ડાયરેક્ટરનો વિષય છે. હું દરરોજ પુનરાવર્તન કરવા માગતો નથી. દરરોજ તમારી સ્કુલિંગ કરવા માગતો નથી. તમે મારા ટોનને લઈને વાત કરી રહ્યાં છો? બહુ કહેવાય. હું સહન કરીશ નહીં. 


Google NewsGoogle News