Operation Ajay હેઠળ છઠ્ઠી ફ્લાઈટ ભારત પહોંચી, ઈઝરાયલથી કુલ 1300થી વધુની ભારત વાપસી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ભારતીયોને સુરક્ષિત પાછા લાવવા આ અભિયાનની શરૂઆત કરાઈ હતી
અગાઉ મંગળવારે 5મી ફ્લાઈટ 286 ભારતીયોને લઈને પહોંચી હતી
image : Twitter |
Israel vs Hamas War | ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે 'ઓપરેશન અજય' (Operation Ajay) હેઠળ નેપાળના બે નાગરિકો સહિત 143 લોકો રવિવારે એક વિશેષ વિમાન દ્વારા ભારત પરત ફર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ X પર પોસ્ટ કરતા કહ્યું કે- 'ઓપરેશન અજય'ની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેએ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું.
અગાઉ પણ નેપાળના નાગરિકોને લવાયા હતા
આ પહેલા નેપાળના 18 નાગરિકો સહિત 286 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચી હતી. 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલના શહેરો પર હુમલો કર્યા બાદ ઇઝરાયેલથી ભારતીયોની વાપસી માટે 12 ઓક્ટોબરે 'ઓપરેશન અજય' શરૂ કરવામાં આવ્યું હતું. 'ઓપરેશન અજય' હેઠળ અત્યાર સુધીમાં 1300થી વધુ લોકો ભારત પરત ફર્યા છે. ઈઝરાયેલમાં માર્યા ગયેલા ચાર નેપાળી વિદ્યાર્થીઓના મૃતદેહ પણ કાઠમંડુ લાવવામાં આવ્યા છે. હમાસના હુમલામાં નેપાળના 10 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. છ મૃતદેહોની ઓળખ થઈ નથી.