રામમંદિરમાં એક જ મહિનામાં 62 લાખ લોકોના દર્શન, દાનનો આંકડો પણ રૂપિયા 50 કરોડે પહોંચ્યો

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
રામમંદિરમાં એક જ મહિનામાં 62 લાખ લોકોના દર્શન, દાનનો આંકડો પણ રૂપિયા 50 કરોડે પહોંચ્યો 1 - image


Image Source: Twitter

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો થઈ ગયો છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિસર ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં ભાગ લીધો. હવે રામલલાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી છે. રામલલાના દર્શનાર્થે આવતા ભક્તો અને તેમના દ્વારા કરાતા દાનના રોજેરોજ નવા રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યા છે. એક મહિનામાં જ રામલલાના 62 લાખ લોકોએ દર્શન કર્યા છે. એટલું જ નહીં, ભક્તોએ એક જ મહિનામાં રૂ. 50 કરોડની રકમ રામલલાને અર્પણ કરી છે. 

ટ્રસ્ટના કાર્યાલય ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તા અનુસાર ગર્ભગૃહની સામે દર્શન પથ પાસે ચાર મોટા આકારની દાન પેટીઓ મૂકેલી છે, જેમાં શ્રદ્ધાળુઓ દાન કરી રહ્યા છે. આ સિવાય 10 કમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર્સ પર પણ લોકો દાન કરે છે. આ દાન કાઉન્ટરો પર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને નિમણૂક કરાયા છે, જે સાંજે કાઉન્ટર બંધ થયા બાદ પ્રાપ્ત દાન રાશિનો હિસાબ ટ્રસ્ટ કાર્યાલયમાં જમા કરે છે.

દાનની ગણતરીમાં 14 કર્મચારી કાર્યરત 

14 કર્મચારીઓની એક ટીમ ચાર દાન પેટીઓમાં આવેલા દાનની ગણતરી કરી રહ્યા છે, જેમાં 11 બેન્ક કર્મચારી અને મંદિર ટ્રસ્ટના ત્રણ કર્મચારી સામેલ છે. પ્રકાશ ગુપ્તા જણાવે છે કે, ‘દાનની રકમ જમા કરવાથી લઈને તેની ગણતરી સુધી બધું જ સીસીટીવી કેમેરાની નજર હેઠળ કરવામાં આવે છે.’

શું છે રામ મંદિરમાં દર્શનનો સમય?

મંદિરના ઉદ્ઘાટનના એક મહિના બાદ પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. મંદિર તંત્રના નવા સમય અનુસાર રામલલાની મૂર્તિની શ્રૃંગાર આરતી સવારે 4:30 વાગે શરૂ થાય છે, જ્યારે સવારે 6:30 વાગે મંગળ પ્રાર્થના કરવામાં આવે છે. ત્યાર પછી સવારે સાત વાગ્યાથી મંદિર ભક્તોના દર્શન માટે ખોલી દેવામાં આવે છે.


Google NewsGoogle News