'વર્લ્ડ હેરિટેજ દિવસે' જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
'વર્લ્ડ હેરિટેજ દિવસે' જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ 1 - image


World Heritage Day: વિશ્વભરમાં ઘણા હેરિટેજ સ્થળો આવેલા છે. આ વારસો ફક્ત જુનીયાદી બનીને ના રહી જાય એટલા માટે વર્ષ 1982 માં, 18 એપ્રિલના રોજ, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા ટ્યુનિશિયામાં પ્રથમ 'વર્લ્ડ હેરિટેજ ડે' ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસને 'વર્લ્ડ હેરિટેજ ડે' તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાંથી 40 સાઈટોનો સમાવેશ UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં કરવામાં આવ્યો છે. ઉપરાંત પણ ભારત દેશ તેની ધરોહર માટે વિશ્વમાં એક આગવી ઓળખ ઘરાવે છે. ભારતની સાથે ગુજરાતે પણ તેના હેરિટેજ માટે વિશ્વ સમક્ષ એક આગવી ઓળખ ઉભી કરી છે. ગુજરાતની 4 એવી ધરોહારો છે કે જેનો સમાવેશ UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં કરવામાં આવ્યો છે.

ગુજરાતની હેરિટેજ સાઈટ

ચાંપાનેર 

ચાંપાનેરને 2004માં UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મુ હેરિટેજ સ્થળ છે.  શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેનાં પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે. ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે.  

'વર્લ્ડ હેરિટેજ દિવસે' જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ 2 - image

રાણકી વાવ 

રાણકી વાવને 2014માં UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. ગુજરાતના પાટણમાં આવેલું આ પ્રખ્યાત સ્ટેપવેલ રાણકી વાવ તરીકે પણ ઓળખાય છે. રાણકી વાવ 1063 AD માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. તેની દિવાલો અને સ્તંભો પર ઘણી કલાકૃતિઓ અને શિલ્પો શાનદાર રીતે કોતરવામાં આવી છે. મોટાભાગની કોતરણી ભગવાન રામ, વામન, નરસિંહ, મહિષાસુરમર્દિની, કલ્કી વગેરે જેવા ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે.

'વર્લ્ડ હેરિટેજ દિવસે' જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ 3 - image

અમદાવાદ શહેર 

અમદાવાદ શહેરને 2017માં UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતું શહેર છે. અંગ્રેજો માટે આ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. આ 606 વર્ષ જૂના અમદાવાદ શહેરમાં નેચરપાર્ક, રોબોટિક ગેલેરી, સાઈન્સ સિટી, એક્વેરિયમ સહિતના ઘણા જોવા અને માણવાલાયક સ્થળો આવેલા છે.

'વર્લ્ડ હેરિટેજ દિવસે' જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ 4 - image

ધોળાવીરા 

ધોળાવીરાને 2021માં UNESCOની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. ધોળાવીરા ગામની નજીક હોવાથી તે ધોળાવીરા તરીકે ઓળખાય છે. ધોળાવીરાને સ્થાનિકો કોટડો અથવા મહાદુર્ગ પણ કહે છે. આ શહેર સિંધુ સંસ્કૃતિના 'મૉર્ડન ટાઉન પ્લાનિંગ' માટે જાણીતી હતું. આ શહેરો એમનાં મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. શહેરના અવશેષો 100 હેક્ટરમાં ફેલાયેલા છે. આ શહેરની પડખેથી બે નહેર પસાર થાય છે.

'વર્લ્ડ હેરિટેજ દિવસે' જાણો ગુજરાતના અદ્ભુત વારસો ધરાવતા ચાર સ્થળો, UNESCOની યાદીમાં છે સામેલ 5 - image


Google NewsGoogle News