ભારતના આ ગામમાં છે સદીઓ જુના કાયદા અને નિયમો, કોઇ પણ વસ્તુને અડશો તો થશે 1000 રુપિયાનો દંડ
ગામના રીત રિવાજો હિંદુસ્તાનના બીજા ગામોથી સાવ જુદા પડે છે
આ ગામમાં 3 દિવસનો અનોખો ફાગલી નામનો ઉત્સવ ઉજવાય છે
સિમલા,24 ઓકટોબર,2023,મંગળવાર
હિમાચલપ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામ જુના મલાણા સૌથી અનોખું ગામ છે. આ ગામના લોકો પોતાના જમલૂ દેવતા અને અકબર સિવાય કોઇ ને પણ માનતા નથી. નવાઇની વાત તો એ છે કે આ ગામના લોકો પોતાને સિકંદરના સૈનિકોના વંશજો માને છે. એટલું જ નહી તેઓની ભાષામાં ગ્રીક શબ્દો આવે છે. મલાણા એક માત્ર એવું ગામ છે જે ભારતમાં હોવા છતાં તેના રીત રિવાજો હિંદુસ્તાનના બીજા ગામોથી સાવ જુદા પડે છે.
આ ગામના લોકોને પોતાના સદીઓ જુના કાયદા અને પોતાના નિયમો છે. લોકો બહારના કોઇ પણ માણસને પોતાની વસ્તુને અડકવા દેતા નથી. જો અડે તો એક હજાર રુપિયા દંડ ભરવો પડે છે. આવી અનેક વિચિત્ર પરંપરાઓના કારણે પ્રવાસીઓ ગામની મૂલાકાતે આવે છે. મલાણા ગામ લોકોમાં એવી પણ માન્યતા છે કે અકબર બાદશાહે આ ગામ પર કબ્જો લેવા કોશિષ કરી હતી પરંતુ ગામના જમલુ દેવતા તેને સફળ થવા દિધો ન હતો.
એ સમયે અકબરે જમલુની પણ પરીક્ષા કરવાની ભૂલ કરી હોવાથી નારાજ થયેલા જમલુએ દિલ્હીમાં ભારે હિમ વર્ષેા કરાવી હતી .ત્યાર પછી અકબરે જમલુ દેવતાની માફી માગવા માટે ફરી મલાણા આવવું પડયું હતું. સ્થાનિક લોકો તો એમ પણ માને છે કે દિલ્હીમાં ભીક્ષા માંગી રહેલા બે સાધુઓનું ભીક્ષાપાત્ર અકબરે પડાવી લીધું હતું. આથી જમલુ એ અકબરના સપનામાં આવીને ભીક્ષા પાત્ર પાછુ આપવા જણાવ્યું હતું.
અકબરે આ જમલુના આદેશનું પાલન કરીને ભીક્ષાપાત્ર સાથે પોતાની સોનાની મુર્તિ તૈયાર કરીને ભેટમાં આપી હતી. અકબરની આ એ જ મુર્તિ હોવાનું માનીને ગામ લોકો વર્ષમાં એક વાર મંદિર ખોલીને પૂજા કરે છે. આ પૂજાને ગામ સિવાયના બહારના લોકો જોઇના જાય તેની કાળજી રાખવામાં આવે છે. આ માટે ખાસ ફાગલી નામનો ઉત્સવ ઉજવાય છે. જમલુ ઋુષિ અને અકબરમાં ગામ લોકો વિશ્વાસ ધરાવતા હોવાથી બધી જ જુની પરંપરાનું પાલન કરે છે. મલાણા ગામની મહિલાઓ ત્રણ દિવસ સુધી રોજ સાંજે જમલુના પત્ની રેણુકાના દરબારમાં નૃત્ય કરે છે. કેટલાક જમલુ એટલે જમદઅગ્નિ ઋષી એમ પણ માને છે.