46 વર્ષ બાદ પુરીના જગન્નાથમાં મંદિરમાં ખૂલ્યા રતન ભંડારના કપાટ, સાપથી અધિકારીઓ ગભરાયા

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Jagannath Temple Decked Up For The Rath Yatra Of Lord Jagannath
Image : IANS (File pic)

Puri Jagannath Temple Ratna Bhandar: આજે ઐતિહાસિક દિવસ છે. કારણકે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના રતન ભંડારના કપાટ ખોલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 46 વર્ષના લાંબા સમય બાદ આ રતન ભંડારના કપાટ ખોલ્યા છે.  આ માટે રાજ્ય સરકારે આજે (14 જુલાઈ) બપોરે 1:28 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.આજે જેવો જ શુભ સમય આવ્યો કે તરત જ આ રતન ભંડારના કપાટ ખોલી નાખવામાં આવ્યા હતા. આ પહેલા કપાટ વર્ષ 1978માં ખોલવામાં આવ્યા હતા.

જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું

ચાર ધામોમાંથી એક જગન્નાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં રતનોનો ભંડાર છે. જેમાં ત્રણ દેવતા જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રતનો રાખવામાં આવ્યા છે. ઘણા રાજાઓ અને ભક્તોએ ભગવાનને ઘરેણાં અર્પણ કર્યા હતા. તે બધા રતન ભંડારમાં રાખવામાં આવ્યા છે. આભૂષણોની કિંમત અમૂલ્ય હોવાનું કહેવાય છે. આજદિન સુધી તેનું મૂલ્યાંકન થયું નથી. આ ઐતિહાસિક ભંડાર જગન્નાથ મંદિરના જગમોહનના ઉત્તર કિનારે છે.

આ પણ વાંચો : 20 કે 21 જુલાઇ? ક્યારે છે ગુરુપૂર્ણિમા, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

આભૂષણોની યાદી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી

પુરીના જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકર સ્વૈને કહ્યું, 'રતન ભંડાર આજે ફરી ખોલતા પહેલા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. અમે શ્રી જગન્નાથ મંદિર અધિનિયમ મુજબ સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ચુસ્તપણે પાલન કર્યું છે.' રતન ભંડારની અંદર પાલક સાપ હોવાની અફવા પર દાસ મહાપાત્રાએ સ્પષ્ટતા કરી કે આવી કોઈ સમસ્યા નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પ્રતિનિધિની હાજરીમાં આભૂષણોની યાદી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આભૂષણોની ગણતરી કર્યા પછી એક ડિજિટલ કૅટલૉગ બનાવવામાં આવશે. જેમાં ફોટોગ્રાફ્સ, આભૂષણોનું વજન અને અન્ય વસ્તુઓની સાથે તેમની ગુણવત્તાનો સમાવેશ થશે.

અગાઉ ક્યારે-ક્યારે કપાટ ખોલવામાં આવ્યા?

મંદિર પ્રબંધન સમિતિના વડા અરવિંદ પાધીએ જણાવ્યું હતું કે 'અગાઉ રતન ભંડારના કપાટ વર્ષ 1905, 1926 અને 1978માં ખોલીને કિંમતી વસ્તુઓની યાદી બનાવવામાં આવી હતી. રતના ભંડારના કપાટ છેલ્લે 1985ની 14મી જુલાઈએ જ ખોલવામાં આવ્યા હતા. આ પછી રતન ભંડારના કપાટ ક્યારેય પણ ખોલવામાં આવ્યા ન હતા. ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું હતું કે 'જે અગાઉની સરકારો 24 વર્ષમાં નથી કરી શકી તે હવે થયું છે. અને આ કાર્ય માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.'

આ પણ વાંચો : આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની રહેશે કૃપા

રતના ભંડારમાં 12 હજારથી વધુ તોલાના સોનાના દાગીના

રાજ્યની વિધાનસભામાં 2018માં કહેવામાં આવ્યું હતું કે 'રતન ભંડારમાં 12,831 તોલાના સોનાના દાગીના હતા. આ કિંમતી રતનોથી જડેલા છે અને તેમાં 22,153 તોલા ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભાજપે ફરી રાજ્યમાં સત્તા પર આવશે તો રતન ભંડારના કપાટ ખોલશે તેવું વચન આપ્યું હતું. રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન રતન ભંડારના કપાટ ખોલવાનો મુખ્ય રાજકીય મુદ્દો હતો.

જગન્નાથ મંદિરમાં આ રતન ભંડારો બે ભાગમાં વહેંચાયેલા છે.

1- અંદરનો ભંડાર

2- બહારનો ભંડાર

બહારના ભંડારમાં ભગવાન દ્વારા વારંવાર પહેરવામાં આવતા આભૂષણો રાખવામાં આવ્યા છે. જે આભૂષણોનો ઉપયોગ થતો નથી તેને અંદરના ભંડારમાં રાખવામાં આવે છે. રતન ભંડારનો બહારનો ભાગ હજુ ખુલ્લો છે, પરંતુ અંદરના ભંડારની ચાવી છેલ્લા છ વર્ષથી ખોવાઈ ગઈ છે. નિયમો મુજબ આ ભંડારાની ચાવીઓ પુરીના કલેક્ટર પાસે રહે છે. તત્કાલિન કલેક્ટર અરવિંદ અગ્રવાલ હતા. જેમણે કબૂલ્યું કે તેમને ચાવીની કોઈ જાણકારી નથી. ત્યારબાદ આખા રાજ્યમાં ભારે હોબાળો થયો હતો. તત્કાલીન સીએમ નવીન પટનાયક વચ્ચે પડીને તપાસના આદેશ આપ્યા હતા. તપાસ સમિતિને લગભગ 2 અઠવાડિયા પછી માહિતી આપતા જણાવ્યું હતું કે 'સમિતિને એક કવર મળ્યું હતું જેના પર લખ્યું હતું કે અંદરના ભંડારની ડુપ્લિકેટ ચાવીઓ. આ સાથે એક લાંબો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમાં શું લખ્યું હતું તે ક્યારેય સાર્વજનિક કરી શકાયું નથી.'

આ પણ વાંચો : અમરનાથની ગુફામાં આજે પણ છે બે અમર કબૂતરોની જોડી! જાણો પૌરાણિક કથા

આ મંદિરનો ખજાનો પણ એક રહસ્ય બની ગયો છે

જગન્નાથ ઉપરાંત કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરની ગણતરી સૌથી અમીર મંદિરોમાં થાય છે. કહેવાય છે કે મંદિરમાં એટલો ખજાનો છુપાયેલો છે જેનો કોઈ અંદાજ પણ લગાવી શકતું નથી. સાત ભોયરાઓમાં ખજાના છે, જેમાંથી છ ખોલવામાં આવ્યા છે, જ્યારે સાતમાનો કપાટ હજુ પણ બંધ છે. આ કપાટ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ખોલવામાં આવ્યા હતા, જેમાંથી ઘણો ખજાનો મળી આવ્યો હતો. જેને મંદિર ટ્રસ્ટમાં જમા કરાવ્યા બાદ સાતમો દરવાજાનો કપાટ ખોલવાનો પ્રયાસ કરતાં જ અનેક મુશ્કેલીઓ ઉભી થવા લાગી. 

46 વર્ષ બાદ પુરીના જગન્નાથમાં મંદિરમાં ખૂલ્યા રતન ભંડારના કપાટ, સાપથી અધિકારીઓ ગભરાયા 2 - image


Google NewsGoogle News