VIDEO : પૈગમ્બર વિવાદ બાદ પહેલીવાર સામે આવી નૂપુર શર્મા, કહ્યું- 'ભારત માતા કી જય'

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
VIDEO : પૈગમ્બર વિવાદ બાદ પહેલીવાર સામે આવી નૂપુર શર્મા, કહ્યું- 'ભારત માતા કી જય' 1 - image


Image Source: Twitter

- નૂપુરે શર્માએ એક વર્ષ કરતા વધુ સમયથી જાહેર જીવનથી અંતર જાળવી રાખ્યુ હતું

- ગત વર્ષે એક ટીવી ડિબેટ શો દરમિયાન નૂપુર શર્માએ પૈગમ્બર મોહમ્મદ સાહબ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર

પૈગમ્બર વિવાદ બાદથી અન્ડરગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નૂપુર શર્મા પહેલી વાર સામે આવ્યા છે. તેઓ ફિલ્મ 'ધ વેક્સીન વોર'ને પ્રમોટ કરવા માટે આયોજિત કરાયેલ એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવ્યા હતા. નૂપુરે એક વર્ષ કરતા વધુ સમયથી જાહેર જીવનથી અંતર જાળવી રાખ્યુ હતું. ગત વર્ષે જૂન મહિના બાદથી તેઓ સોશિયલ મીડિયા પરથી પણ ગાયબ થઈ ગયા હતા. 

નૂપુર શર્મા ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને સ્ટારકાસ્ટ સાથે હાજર રહ્યા હતા. નૂપુરે વેક્સીન વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તમારો આભાર વ્યક્ત કરવો છે. તમારા કારણે જ અમે ભારતીયો જીવિત છીએ. તમારો હ્રદયથી આભાર. વિવેક અગ્નિહોત્રી તમારો પણ આભાર કે, તમે મને આમંત્રિત કરી. એક જ વાત કહીશ- 'ભારત માતા કી જય' અને ઈન્ડિયા, ભારત કેન ડૂ ઈટ. 

વિવેક અગ્નિહોત્રીએ આ દરમિયાન મંચ પરથી કહ્યું કે, હું ખૂબ જ ખુશ છુ કે, આપણે મહિલાઓ વિશે વાત કરી રહ્યા છીએ. મહિલાઓના સાહસ અને ભૂમિકાઓની વાત કરી રહ્યા છે. હું એક સાહસી મહિલાને બોલાવવા માંગુ છું જે દુર્ભાવનાપૂર્ણ હેતુઓને કારણે પોતાના ઘરમાં કેદ રહ્યા બાદ પહેલી વાર સામે આવી છે. દર્શકોની વચ્ચે પાછળની હરોળમાં બેઠેલી નુપુર શર્મા પોતાના સ્થાન પરથી ઉભા થતા જ તાળીઓના ગડગડાટ વચ્ચે જય શ્રી રામના નારા લગાવવામાં આવે છે અને નૂપુર શર્મા સ્ટેજ પર પહોંચે છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, આ ફિલ્મ વિજ્ઞાન પર છે અને હું તેને રાજકીય બનાવવા નથી માંગતો પરંતુ મેં તેમને સ્ટેજ પર એટલા માટે બોલાવ્યા કારણ કે ઘણી યુવતીઓ અને ભારતીયોની હિંમત વધશે.

ગત વર્ષે એક ટીવી ડિબેટ શો દરમિયાન નૂપુર શર્માએ પૈગમ્બર મોહમ્મદ સાહબ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમના વિરુદ્ધ ભારત સહિત વિશ્વના અનેક ઈસ્લામિક દેશોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયુ હતું. નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. ત્યારબાદ નૂપુર શર્માએ જાહેર જીવનથી અંતર જાળવી રાખ્યુ હતું. 



Google NewsGoogle News