હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત
Image: X
NRI Murder in Bihar: બિહારના વૈશાલી જિલ્લામાં એક એનઆરઆઈની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના હાજીપુર-જંદાહા મુખ્ય માર્ગ પર રાજાપાકર વિસ્તારના ઉફરૌલ ડૈની પુલ સ્થિત એનવીઆઈ ર્ઈંટભટ્ટાની પાસે શુક્રવારે સવારે થઈ. મૃતકની ઓળખ જંદાહા વિસ્તારના સકરૌલી બુચૌલી રહેવાસી રમાશંકર ચૌધરીના પુત્ર રાહુલ આનંદ તરીકે થઈ છે. રાહુલ હોળીના તહેવાર પર અમેરિકાથી પોતાના ગામ આવ્યો હતો. જણાવાઈ રહ્યું છે કે ગળામાંથી સોનાની ચેઈન છીનવ્યાનો વિરોધ કરવા પર બે બાઈક સવાર લૂંટારાઓએ તેને ગોળી મારી દીધી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
જાણકારી અનુસાર એનઆરઆઈ રાહુલ આનંદ હાજીપુર દિગ્ધી કલા પૂર્વી સ્થિત ઘરેથી માતાને લઈને બાઈકથી ગામ તરફ નીકળ્યો. તે લોકો એનએચ 322 માર્ગમાં ઉફરૌલ ડેની પુલની પાસે જ પહોંચ્યા હતા કે બાઈક સવાર બે ગુનેગારોએ તેમની ગાડી રોકાવી. બદમાશોએ તેના ગળામાંથી ચેન છીનવવાનો પ્રયત્ન કર્યો. વિરોધ કરવા પર કમરમાં ગોળી મારી અને ભાગી છુટ્યા. સ્થાનિક લોકોએ પોલીસને માહિતી આપી. પોલીસની મદદથી ગંભીર સ્થિતિમાં તેને એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયો. સારી સારવાર માટે પટનાના એક મોટા પ્રાઈવેટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન રાહુલનું મોત નીપજ્યું.
આ પણ વાંચો: કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત
ચેન સ્નેચિંગના વિરોધમાં એનઆરઆઈની હત્યાથી ગામમાં દરેક સ્તબ્ધ છે. ગોળી વાગવાની માહિતી પર રાજાપાકર પોલીસ સ્ટેશન અને દેસરીની પોલીસ ઘટના સ્થળે પહોંચી. રાહુલ આનંદ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં નોકરી કરી રહ્યો હતો. એક અઠવાડિયા પહેલા જ તે યુએસથી ગામડે આવ્યો હતો. તેની પત્ની 6 વર્ષની પુત્રીની સાથે હાજીપુરમાં રહે છે. તે એક પ્રાઈવેટ સ્કુલમાં શિક્ષિકા છે. બંનેના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. રાહુલ ગામડે આવીને પોતાના પૈતૃક મકાનમાં સમારકામનું કામ કરાવી રહ્યો હતો. રાહુલના મોટા ભાઈ રવિ ભૂષણ ચૌધરી હાજીપુર કોર્ટમાં વકીલ છે.
બુધવારે સાંજે રાહુલ પોતાની માતાને ગામ સ્થિત ઘરેથી લઈને હાજીપુર ગયા હતા. શુક્રવારે સવારે લગભગ 8 વાગે તે પોતાની માતાની સાથે બાઈકથી ગામ પરત ફર્યો હતો. રસ્તામાં તેમની સાથે ઘટના થઈ ગઈ. ગોળી માર્યા બાદ હુમલાખોર ભાગી છુટ્યા. મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર માટે પરિવારજનોને સોંપી દેવાયો છે. આ મામલે વૈશાલી પોલીસ એસપીએ નિવેદન જારી કરી કહ્યું કે ગુનેગારોની ઓળખ કરી દેવાઈ છે. આરોપી પહેલેથી જ અન્ય મામલામાં ફરાર છે. તેની પર 25 હજારનું ઈનામ રાખવામાં આવ્યું છે. ધરપકડ માટે એસડીપીઓ મહુઆના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે.