એર ઈન્ડિયાએ 180થી વધુ કર્મચારીઓની કરી છટણી, નોન ફ્લાઈંગ સ્ટાફ પર ચલાવી કાતર

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
એર ઈન્ડિયાએ 180થી વધુ કર્મચારીઓની કરી છટણી, નોન ફ્લાઈંગ સ્ટાફ પર ચલાવી કાતર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 16 માર્ચ 2024 શનિવાર

ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયામાં પણ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં જ 180થી વધુ નોન-ફ્લાઈંગ સ્ટાફની છટણી કરી દીધી છે.

આ છટણીને લઈને કંપનીએ જણાવ્યુ કે જે લોકોની નોકરી ગઈ છે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) અને રિસ્કિલિંગ એટલે કે નવુ કૌશલ્ય શીખવાની તકોનો ઉપયોગ કરી શક્યા નહોતા.

એર ઈન્ડિયામાં 18,500થી વધુ કર્મચારી છે જ્યારે ગ્રૂપ એરલાઈન, એર ઈન્ડિયા એક્સપ્રેસમાં લગભગ 6,200 કર્મચારી છે. જ્યારે ટાટા ગ્રૂપે એરલાઈનનું ટેકઓવર કર્યુ હતુ, ત્યારે બંને એરલાઈનમાં કોન્ટ્રાક્ટ કામદારો સહિત કુલ 12,085 કર્મચારીઓ હતા.

આ મામલે એર ઈન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યુ, અમે આ પ્રક્રિયા દરમિયાન તમામ કરારની જવાબદારીઓનું સન્માન કરી રહ્યા છીએ. કર્મચારીઓને મોકલેલા એક લેટર અનુસાર છટણી કરવામાં આવેલા કર્મચારીઓને એરલાઈનની સાથે સેવાના દરેક વર્ષ માટે 15 દિવસના વેતનના બરાબર વળતર પેકેજ મળશે.

એરલાઈને પહેલા બે વખત સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાઓની રજૂઆત કરી હતી જેનો 2,500થી વધુ કર્મચારીઓએ લાભ ઉઠાવ્યો હતો. કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે ફિટમેન્ટ પ્રક્રિયાના ભાગ તરીકે નોન-ફ્લાઈંગ કાર્યોમાં કર્મચારીઓને સંસ્થાકીય જરૂરિયાતો અને વ્યક્તિગત યોગ્યતાના આધારે ભૂમિકાઓ સોંપવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યુ કે છેલ્લા 18 મહિનામાં તમામ કર્મચારીઓની અનુકૂળતાનું આકલન કરવા માટે એક વ્યાપક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યુ છે.


Google NewsGoogle News