'ના સંસદ, ના સુપ્રીમ કોર્ટ, બંધારણ જ સર્વોચ્ચ...' વિવાદમાં કૂદ્યા કપિલ સિબ્બલ, ધનખડને આપ્યો જવાબ
Kapil Sibal Faces Backlashes For Comments On Supreme Court: સુપ્રીમ કોર્ટ, સરકાર અને સંસદ પરની ચર્ચામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી એકવાર સંસદને સુપ્રીમ (સર્વોચ્ચ) ગણાવતાં કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે. કપિલ સિબ્બલે ધનખડને જવાબ આપતાં કહ્યું કે, 'ના સંસદ સુપ્રીમ છે, ના સુપ્રીમ કોર્ટ. બંધારણ જ સર્વોચ્ચ છે.' ઉપરાષ્ટ્રપતિએ આજે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, લોકશાહીમાં સંસદ સર્વોચ્ચ છે અને તેનાથી ઉપર કોઈ સત્તા નથી.
સાંસદોની ઉપર કોઈ નહીં
ધનખડે આગળ જણાવ્યું હતું કે, બંધારણ કેવું હોવું જોઈએ તે નક્કી કરવાનો અધિકાર ફક્ત સાંસદોને જ છે. આને કોઈ પડકારી શકે નહીં. જેના પર કપિલ સિબ્બલે સર્વોચ્ચ શક્તિ મુદ્દે ચર્ચા પર ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, 'ન તો સંસદ કે ન તો સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે.' બંધારણ જ સર્વોચ્ચ છે. સુપ્રીમ કોર્ટે બંધારણની જોગવાઈઓનું અર્થઘટન કર્યું છે. આ એ કાયદો છે જે અત્યાર સુધી દેશએ સમજ્યો છે.
કપિલ સિબ્બલ પોતાના જ નિવેદનમાં ફસાયા
કપિલ સિબ્બલની આ ટીપ્પણીનો ભોગ તેઓ પોતે જ બન્યા છે. અનેક યુઝર્સ તેમને રિટ્વિટ કરી ટીકા કરી રહ્યા છે. એક યુઝર્સે તેમનો જૂનો 6 ઓગસ્ટ, 2022નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે મારી પાસે સુપ્રીમ કોર્ટ નામની કોઈ વ્યવસ્થા નથી. કોર્ટમાં જજની નિમણૂકની વ્યવસ્થા જ ખોટી છે. ચીફ જસ્ટિસ નક્કી કરે છે કે કોને કયો કેસ મળશે. ઈડી અને તેને મળેલી સત્તાઓ મુદ્દે સિબ્બલે કહ્યું હતું કે કાયદો કહે છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે સાબિત કરશે કે હું નિર્દોષ છું. જો સુપ્રીમ કોર્ટે આવા મનસ્વી કાયદાને સમર્થન આપ્યું હોય, તો તમે તેની પાસેથી શું અપેક્ષા રાખી શકો છો?
આ પણ વાંચોઃ 'સંસદની ઉપર કોઈ નથી', ફરી સુપ્રીમ કોર્ટ પર ભડક્યા જગદીપ ધનખડ
આ વીડિયો શેર કરી યુઝરે કેપ્શન લખી છે કે, સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવનારા આજે તેને સમર્થન આપે છે. આવા બેવડા વલણ અપનાવનારાને તમે શું કહેશો. અન્ય યુઝર્સ પણ સિબ્બલની બેવડી નીતિની ટીકા કરી રહ્યા છે.
આ રીતે શરૂ થયો સુપ્રીમ વિવાદ
સુપ્રીમ કોર્ટ દ્વારા તમિલનાડુમાં 10 બિલ પર પ્રતિબંધ મૂકવાના રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે વાંધો ઉઠાવતાં રાષ્ટ્રપતિને આદેશ આપ્યો હતો કે, રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનાની અંદર બિલો પર નિર્ણય લેવો પડશે. જો તે તેને નકારે છે, તો તેના કારણો આપવા પડશે અને જો તે ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવામાં અસમર્થ હોય, તો તે આપમેળે મંજૂર થયેલ માનવામાં આવશે. આ નિર્ણયની ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટીકા કરી હતી અને તેમણે કહ્યું હતું કે આજના જજ સંસદ ચલાવવા માંગે છે. લોકશાહીમાં આ દિવસની આપણે કલ્પના પણ નહોતી કરી. જેના પર કપિલ સિબ્બલે પ્રહાર કર્યો હતો કે ધનખડ સુપ્રીમ કોર્ટને નબળી પાડવાની વાત કરી રહ્યા છે.