કશું જ નિ:શુલ્ક હોઈ ન શકે : સરકારની સેવા પ્રાપ્ત કરનારે વળતર આપવું જોઇએ : નારાયણ મૂર્તિ

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
કશું જ નિ:શુલ્ક હોઈ ન શકે : સરકારની સેવા પ્રાપ્ત કરનારે વળતર આપવું જોઇએ : નારાયણ મૂર્તિ 1 - image


- આગામી પેઢીઓ ખાતર વધુ જ જવાબદારી ઊઠાવો

- હું નિ:શુલ્ક સેવાનો વિરોધી નથી પરંતુ સામું વળતર આપવા કહું છું : બીજા દેશો કરતાં ટેકા વધુ છે પણ હું તેની ફરિયાદ કરતો નથી

બેંગલુરૂ : અહીં યોજાયેલી ૨૬મી ટેક-સમિટ ૨૦૦૩ દરમિયાન આપેલાં વક્તવ્યમાં નારાયણ મૂર્તિ સ્ષ્ટત: કહ્યું હતું કે, કશું જ નિ:શુલ્ક હોય ન શકે, સરકારની સેવા પ્રાપ્ત કરનારે સામું પૂરતું વળતર આપવું જ જોઇએ. સબસીડી દ્વારા ઓછા ભાવે ચીજો મેળવનારાએ સમાજને સામું વળતર આપવું જ જોઇએ.

કર્ણાટકમાં પાટનગરમાં યોજાયેલી આ ટેક સમિટમાં બુધવારે સાંજે આપેલાં વ્યક્તવ્યમાં ઇન્ફોસીસના સહસ્થાપક એન.આર.નારાયણ મૂર્તિએ વાસ્તવમાં તો નિ:શુલ્ક સેવા પ્રાપ્તિનો સખત વિરોધ કર્યો હતો, અને સમાજ પાસેથી જે પ્રાપ્ત કર્યું છે, તે સમાજને પાછું આપવા અનુરોધ કર્યો હતો.

આ સાથે તેઓએ કરૂણાસભર મૂડીવાદની તરફેણ કરતાં કહ્યું હતું કે તે માર્ગે જ ભારત સમૃદ્ધ થઇ શકશે. સાથે ફરી એક વખત કહ્યું કે આપણે સબસીડીની સામે તેટલું જ વળતર આપવુ અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે તમો કહો કે - 'હું તમોને નિ:શુલ્ક વિદ્યુત આપીશ, તે સરકાર માટે ઘણી સારી કહી શકાય, પરંતુ તે સામે શાળામાં જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ૨૦ ટકા જેટલો વધારો થવો જ જોઇએ. ત્યારે આપણે તે (નિ:શુલ્ક વિદ્યુત્ની) વાત કરી શકીએ.

આ વિદ્વાને વધુમાં કહ્યું કે હું નિ:શુલ્ક સેવાનો વિરોધી નથી. તે ગરીબોને માટે સહાયરૂપ છે. હું પણ એક ગરીબી કુટુમ્બમાંથી જ આવ્યો છું પરંતુ આપણે આપણને જે મળે છે તેથી થોડું વધુ વળતર સામે આપવું જ જોઇએ.'

આ સાથે તેઓએ કાર્યસાધક ભ્રષ્ટાચાર રહિત અને જનસામાન્યનાં હિતલક્ષી વ્યવસ્થાતંત્રની અનિવાર્યતા ઉપર ભાર મુક્યો હતો. સાથે તે પણ સ્વીકાર્યું હતું કે અન્ય દેશો કરતાં આપણા દેશમાં વધુ કરભારણ છે જ પરંતુ તે સિવાય અન્ય કોઈ માર્ગ જ નથી. મારે પણ ઊંચા દરે ટેક્ષ આપવો જ પડે છે, પરંતુ હું તેની ફરિયાદ કરતો નથી.

તેઓનાં આ મનનીય વક્તવ્યમાં નારાયણમૂર્તિએ ચીનનું ઉદાહરણ ટાંક્યું હતું અને કહ્યું કે તેને પણ એક સમયે આપણા જેવા જ પ્રશ્નો હતા. તેમ છતાં તે બધા પ્રશ્નો ઉકેલી તેણે તેનું એકંદર આંતરિક ઉત્પાદન (જીડીપી) આપણી કરતાં પાંચ થી છ ગણું વધારી દીધું છે. તેથી હું આપણા રાજકીય નેતાઓને ચીન વિષે ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા નમ્રતાપૂર્વક વિનંતિ કરૃં છું અને ચીન પાસેથી આપણે જે સારી બાબતો શીખી શકીએ તે શીખી, તેનો અમલ પણ કરવો જોઇએ. જેથી ભારત પણ ચીન જેટલી જ ગતિથી વૃદ્ધિ સિદ્ધ કરી શકીએ. અને જન-સામાન્યની ગરીબી દૂર કરી શકીએ.


Google NewsGoogle News