નીતીશ કુમાર બન્યા નવમી વખત બિહારના CM, બે નાયબ મુખ્યમંત્રીએ પણ લીધા શપથ
Bihar Politics : બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ ત્રણ વર્ષમાં સત્તા પરિવર્તન થયું છે. નીતીશ કુમારે NDA ગઠબંધન સાથે બિહારમાં સરકાર બનાવી છે. રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નીતીશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે. આ સાથે જ નીતીશ કુમાર બિહારના 9મી વખત મુખ્યમંત્રી બન્યા છે.
વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી
બિહારમાં શપથગ્રહણ સમારોહમાં નીતીશ કુમારે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ત્યારબાદ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે ત્રણેયને શપથ લેવડાવ્યા હતા.
અન્ય મંત્રીઓએ લીધા શપથ
મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બાદ અન્ય 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં જેડીયૂના ત્રણ વિજય ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ અને પ્રેમ કુમારે શપથ લીધા છે. તો હિન્દુસ્તાની આવામ મોરચાના સંતોષ કુમાર સુમન(સંતોષ માંઝી) અને અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા.
જેપી નડ્ડા સહિતના દિગ્ગજો રહ્યા સામેલ
શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ઉપેન્દ્ર કુશવાહા, LJP (રામવિલાસ) પ્રમુખ ચિરાગ પાસવાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદ હાજર રહ્યા હતા.