મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગડકરીને મળી મોટી જવાબદારી, કહ્યું- ભગવાન અમારાથી પ્રસન્ન

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગડકરીને મળી મોટી જવાબદારી, કહ્યું- ભગવાન અમારાથી પ્રસન્ન 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભારતીય જનતા પાર્ટી તેની રણનીતિમાં દરરોજ નવી ધાર આપી રહી છે. હકીકતમાં ભાજપે નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 100 થી વધુ પ્રચાર સભાઓ અને રોડ શો કરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ આ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને વિનંતી કરતાં તેઓએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો છે. ગડકરીએ કહ્યું છે કે 'ભાજપને ચૂંટણીમાં સફળતા મળશે. અને ચૂંટણી માટે ભગવાન પાસે કંઈ માંગવાની જરૂર નથી, ભગવાન અમારા પર  ખુશ છે.'

ભાજપની નજર વિદર્ભ પર રહેશે

હકીકતમાં, જે રીતે નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી દરમિયાન 95 સભાઓ કરી હતી, એ જ તર્જ પર તેઓ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ તથા મહાયુતિને વિજયી બનાવવા માટે પ્રચાર સભાઓ અને રોડ શો કરશે. દેશભરમાં નીતિન ગડકરી તેમના કામને લઈને જાણીતા છે. ઉપરાંત, મહારાષ્ટ્રમાં તેના ચાહકોની સંખ્યા પણ વધુ છે. અને વધુમાં તેમની ભાષણની શૈલી પણ લોકોને ખૂબ પ્રભાવિત કરે છે. નીતિન ગડકરીનો પ્રભાવ મહારાષ્ટ્રમાં દેખાય છે, પરંતુ વિદર્ભ પ્રદેશમાં તેમનો પ્રભાવ વધુ જોવા મળે છે. વિદર્ભમાં 60થી વધુ બેઠકો છે, તેથી ભાજપનું ફોકસ આ બેઠકો પર વધુ રહેશે. ભાજપની હંમેશા એ કોશિશ રહેશે કે, વિદર્ભથી મોટાભાગની બેઠકો પર મહાયુતિ હેઠળ ભારતીય જનતા પાર્ટી જ ચૂંટણી લડે.

એક મહિના સુધી પ્રચાર કરશે ગડકરી 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, "કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી લગભગ એક મહિના સુધી પ્રચાર કરશે. ગડકરી દેશના મોટા નેતા છે. તેઓ પહેલેથી જ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે. ગડકરી મહારાષ્ટ્રથી દિલ્હી સુધી એક મહાન નેતા તરીકે જાણીતા છે. ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે ચોક્કસપણે નીતિન ગડકરી ચૂંટણી મેદાનમાં ઉતરશે. નીતિન ગડકરી પાર્ટી માટે આદર્શ છે. તેમની રહેણી કરણી ગરીબો માટે શરૂ કરાયેલી યોજનાઓ ખૂબ જ મહત્ત્વપુર્ણ રહેશે."


Google NewsGoogle News