CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં
Supreme Court: સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ સંજીવ ખન્ના પર વિવાદાસ્પદ નિવેદનો આપ્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને તેને આગામી અઠવાડિયે લિસ્ટ કર્યા છે. વકીલોએ નિશિકાંત દુબે સામે અવમાનનાનો કેસ દાખલ કરવા માટે એટર્ની જનરલ પાસેથી સંમતિ માંગી છે. સુપ્રીમ કોર્ટમાં નિશિકાંત દુબેના નિવેદનોનો ઉલ્લેખ કરતા વકીલે કહ્યું કે, 'સરકાર આ મામલે કંઈ કરી રહી નથી.' જ્યારે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને પણ પત્ર લખવામાં આવ્યો છે. આના પર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચે કેસને આગામી અઠવાડિયા માટે લિસ્ટ કર્યો.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું છે કે, 'ભારતમાં ગૃહયુદ્ધ માટે સીજેઆઈ ખન્ના જવાબદાર છે.' ત્યારબાદ આના પર વકીલે કહ્યું કે, 'મેં ફાઇલ કરી દીધી છે, હું ડાયરી નંબર આપી શકું છું. વકીલે પછી કહ્યું કે ભાષણ વાઈરલ થયા પછી, સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઘણાં વિવાદાસ્પદ નિવેદનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.'
વકીલે સુપ્રીમ કોર્ટને વધુમાં કહ્યું, 'સોશિયલ મીડિયાને વીડિયો દૂર કરવાનો નિર્દેશ આપો. આ કોર્ટને નુકસાન પહોંચાડી રહ્યું છે. સરકાર કાર્યવાહી કરી રહી નથી. આ જૂના સમયના કેસોથી અલગ છે. આ વીડિયો દેશભરમાં વાઈરલ થઈ રહ્યા છે. આના પર ન્યાયાધીશે તેને આગામી અઠવાડિયા માટે રાખવા કહ્યું છે.'
સુપ્રીમ કોર્ટે સોમવારે નિશિકાંત દુબેના CJI વિરુદ્ધના નિવેદન અંગે જાણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટની ગરિમા અને પ્રતિષ્ઠા જાળવવાની અપીલ કરી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે અરજદાર અને એડવોકેટ વિશાલ તિવારીએ વક્ફ કાયદામાં સુધારા પછી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિંસા દરમિયાન નફરતભર્યા ભાષણો અંગે દાખલ કરેલી પીઆઈએલ પાછી ખેંચવાની પરવાનગી માંગી.