મોંઘવારી તો ઘટી જ રહી છે, ઓછા ઉત્પાદનને કારણે કઠોળના ભાવમાં વધઘટ : નાણામંત્રી સીતારમણ

નાણામંત્રીએ કઠોળ, ડુંગળી, ટામેટાની વધતી કિંમતો અટકાવવા સરકારે લીધેલા પગલા અંગે માહિતી આપી

સીતારમણે કહ્યું કે, વધતા ભાવો પર અંકુશ મુકવા સરકાર દ્વારા ચણા દાળ અને ડુંગળીનું સસ્તા ભાવે વેચાણ

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
મોંઘવારી તો ઘટી જ રહી છે, ઓછા ઉત્પાદનને કારણે કઠોળના ભાવમાં વધઘટ : નાણામંત્રી સીતારમણ 1 - image


Food Inflation In India : નાણામંત્રી નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) આજે રાજ્યસભા (Rajya Sabha)માં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન માહિતી આપી છે કે, મોંઘાવારી ઘટી રહી છે અને તેનો દર RBIની નિર્ધારીત મર્યાદાની અંદર આવી ગયો છે. તેમણે કઠોળની વધતી જતી કિંમતો અંગે કહ્યું કે, ભારતમાં પુરતા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન થતું ન હોવાથી તેની સપ્લાય ઘટી છે, પરંતુ સરકાર આયાત કરી કઠોળનો પુરવઠો વધારી રહી છે.

સરકારે મોંઘવારી અટકાવવા શું પગલા લીધા, સીતારમણે આપ્યો જવાબ

રાજ્યસભામાં AIADMKના સાંસદ એમ તંબી દુરાઈ (M. Thambi Durai)એ નાણામંત્રીને પ્રશ્ન કર્યો કે, કેન્દ્ર સરકારે કઠોળ, શાકભાજી અને મસાલાની મોંઘવારી અટકાવવા શું પગલા લીધા? જેના જવાબમાં તેમણે કહ્યું કે, મોંઘવારી ઘટી રહી છે અને છુટક મોંઘવારી દર RBIએ નિર્ધારીત કરેલ મર્યાદાની અંદર આવી ગઈ છે. સરકારે મોંઘવારી અટકાવવા અને ચીજવસ્તુઓની સપ્લાય વધારવા ઘણા પગલા લીધા છે.

‘ભારતમાં પુરતા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન થતું નથી’

સીતારમણે વધુમાં કહ્યું કે, ‘ભારતમાં પુરતા પ્રમાણમાં કઠોળનું ઉત્પાદન થતું નથી, જેના કારણે તેની કિંમતો (Pulses Price)માં વધઘટ થઈ રહી છે. સરકાર પાકના અંદાજ મુજબ આયાત કરવા કરાર કરે છે. સરકારે 2023માં 8.79 લાખ મેટ્રીક ટન તુવેર તાળની આયાત કરી છે. આ ઉપરાંત 15.14 લાખ મેટ્રીક ટન મસુર દાળની પણ આયાત કરી છે. આ જ રીતે અન્ય કઠોળની પણ આયાત કરી બજારમાં જારી કરવામાં આવી છે.’

સરકાર સસ્તા ભાવે ચણા દાળ અને ડુંગળીનું વેચાણ કરી રહી છે : નાણામંત્રી

નાણામંત્રીએ કહ્યું કે, સરકાર 60 રૂપિયે કિલો ચણા દાળ વેચી રહી છે અને 55 રૂપિયે પ્રતિ કિલોમાં 30 કિલોની બેગ વેચી રહી છે. 30 જાન્યુઆરી-2024 સુધીમાં 2.97 મેટ્રીક ટન ચણા દાળનું વેચાણ કરાયું છે. આ ઉપરાંત રિટેલ માર્કેટમાં પણ સસ્તા ભાવે ચણા દાળ ઉપલબ્ધ છે. મોંઘી ડુંગળીમાં રાહત આપવા મુદ્દે તેમણે કહ્યું કે, સરકારે 3 ફેબ્રુઆરી-2024 સુધીમાં 3.96 લાખ મેટ્રીક ટન ડુંગળીનો જથ્થો બજારમાં જારી કર્યો છે અને 25 રૂપિયા કિલો (Onion Price)ના ભાવે વેચાણ કરી રહી છે. ડુંગળીની વધતી જતી કિંમતો પર અંકુશ લાદી શકાય તે માટે આયાતના નિયમો પણ બદલાયા છે. સરકારે ટામેટાની કિંમતોને અંકુશમાં રાખવા માટે પણ પગલા ભર્યા છે. વધતી કિંમતો અંગે સરકારની કમિટી સતત સમીક્ષા કરતી રહે છે અને તેના પરિણામે મોંઘવારી દર નિર્ધારીત મર્યાદાની અંદર આવી ગયો છે.

ઉલ્લેખનિય છે કે, શાકભાજી સહિત ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં ઉછાળાના કારણે ડિસેમ્બર-2023માં છૂટક મોંઘવારી દર 5.69 ટકા અને ખાદ્ય મોંઘવારી દર 9.53 ટકા નોંધાયો હતો, જ્યારે નવેમ્બર-2023માં ખાદ્ય મોંઘવારી દર 8.70 ટકા હતો. ડિસેમ્બરમાં કઠોળની કિંમતોમાં 20.73 ટકાનો વધારો, જ્યારે શાકભાજીમાં 27.63 ટકાનો વધારો નોંધાયો હતો.


Google NewsGoogle News