'આગામી ચૂંટણી ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે': કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
- કેન્દ્રીય મંત્રીએ વિપક્ષી ગઠબંધન 'INDIA' પર નિશાન સાધતા કહ્યું કે, નામ બદલવાથી કોઈ ફરક નથી પડતો કારણ કે, શિયાળ સિંહની ખાલ પહેરીને સિંહ ન બની શકે
ભોપાલ, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ 16 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું કે, આગામી ચૂંટણી ધર્મ અને અધર્મના વચ્ચેની છે. તેઓ મધ્ય પ્રદેશના સીહોરમાં ચાલી રહેલી 'જન આશીર્વાદ યાત્રા' દરમિયાન એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ વોટની લડાઈ નથી, આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે. તેમણે સનાતન ધર્મ પર DMKના નેતાઓની તાજેતરની ટીપ્પણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અંગ્રેજો આવ્યા અને જતા રહ્યા, મુગલ સલ્તનતનો અંત આવ્યો. આપણે આજે પણ અહીં જ છીએ અને કાલે પણ અહીં જ રહીશું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આપણે એવો ભ્રમ ન રાખવો કે, આવનારા સમયમાં આપણે માત્ર ચૂંટણી જ લડવાના છીએ. આ માત્ર વોટની લડાઈ નથી. આ લડાઈ એ લોકો સાથે છે જેઓ રામનું નામ લે છે અને કોર્ટમાં એફિડેવિટ આપીને રામના અસ્તિત્વને નકારે છે. તેમણે કહ્યું કે, આ કોઈ સામાન્ય ચૂંટણીની લડાઈ નહીં હશે. આ એ લોકોનું ગઠબંધન છે જેઓ સનાતન ધર્મને નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અમારો સંકલ્પ છે કે, જ્યાં સુધી જીવતા રહીશું ત્યાં સુધી ધર્મની રક્ષા કરીશું.
શિયાળ સિંહની ખાલ પહેરીને સિંહ નથી બની શકતો - ઈરાની
વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા ટેલિવિઝન એન્કરના શોના બહિષ્કારની ઘોષણા પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એવી ખબર નહોતી કે, ગાંધી પરિવાર પત્રકારોના સવાલોથી ડરી જશે. તેમણે પૂછ્યું કે, તેઓ મોદીનો મુકાબલો કેવી રીતે કરી શકશે? કેન્દ્રીય મંત્રીએ વિપક્ષી ગઠબંધન 'INDIA' પર નિશાન સાધતા કહ્યું કે, નામ બદલવાથી કોઈ ફરક નથી પડતો કારણ કે, શિયાળ સિંહની ખાલ પહેરીને સિંહ ન બની શકે.