રામલલાની મૂર્તિને લઈને મોટા સમાચારઃ અરૂણ યોગીરાજે બનાવેલી મૂર્તિની થઈ પસંદગી, ચંપત રાયે આપી માહિતી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
રામલલાની મૂર્તિને લઈને મોટા સમાચારઃ અરૂણ યોગીરાજે બનાવેલી મૂર્તિની થઈ પસંદગી, ચંપત રાયે આપી માહિતી 1 - image

મૈસૂરના જાણિતા મૂર્તિકાર અરૂણ યોગીરાજની બનાવેલી રામલલાની મૂર્તિની પસંદગી થઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તેની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, આ મૂર્તિનું વજન 150 થી 200 કિલોગ્રામ છે. 

ચંપત રાયે કહ્યું કે, અરૂણ યોગીરાજે કેદારનાથમાં શંકરાચાર્યની મૂર્તિ બનાવી છે, ઈન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા બનાવી છે. તેમને અયોધ્યામાં મૂર્તિ બનાવવા દરમિયાન પંદર-પંદર દિવસ સુધી મોબાઈલથી દૂર રખાયા. તેમની મૂર્તિની પસંદગી કરાઈ છે. મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત થશે તે ભગવાન રામની 5 વર્ષની ઉંમરની છે.

'વર્તમાન મૂર્તિને પણ ગર્ભગૃહમાં રખાશે'

નવી મૂર્તિની સ્થાપના બાદ રામલલાની જૂની મૂર્તિનું શું કરાશે તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ અંગે ચંપત રાયે જવાબ આપતા કહ્યું કે, 'નવા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની વર્તમાન મૂર્તિ પણ રખાશે.' 

શિલ્પકાર બનવા યોગીરાજે નોકરી મૂકી દીધી હતી

યોગીરાજ એક જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર તેની મોટું ફેન ફોલોઈંગ છે. પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર 37 વર્ષીય અરુણ યોગીરાજ મૈસુર મહલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કરી ચૂક્યા છે. MBAનો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. એમબીએની ડિગ્રી લીધા બાદ તેમણે એક પ્રાઈવેટ કંપનીમાં પણ કામ કર્યું પરંતુ શિલ્પકાર બનવા માટે 2008માં નોકરી છોડી દીધી હતી.

કેન્દ્રીય મંત્રીએ થોડા દિવસ અગાઉ આપી હતી માહિતી

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ 'X' પર કેટલાક દિવસો અગાઉ જ માહિતી આપી કે, 'જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી થઈ ગઈ છે. આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણું ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.' જો કે, ત્યારબાદ તેમણે ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.


Google NewsGoogle News