સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોઝને 'રાષ્ટ્રપુત્ર' જાહેર કરવાની માગ, ઓડિશા હાઈકોર્ટમાં અરજી
Subhash Chandra Bose Birth Anniversary: આજે દેશ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં બોઝને સત્તાવાર રૂપે રાષ્ટ્રના પુત્ર તરીકે જાહેર કરવા અરજી થઈ છે. આઝાદીના લડવૈયા શૂરવીર નેતાજીની જન્મજયંતિને દેશવાસીઓ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવે છે.
અરજી નેતાજી માટે થઈ વિવિધ માગ
આ અરજીમાં આઝાદ હિંદ ફોજના સ્થાપના દિનને ‘રાષ્ટ્રીય દિવસ’ તરીકે જાહેર કરવાની માંગ પણ થઈ છે. કટકના સામાજિક કાર્યકર પિનાક પાની મોહંતીએ અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનને ધ્યાનમાં લેતાં તેમને રાષ્ટ્રના પુત્ર તરીકે સન્માન આપવાની તેમજ આઝાદ હિંદ ફોજની સ્થાપના દિન 21 ઓક્ટોબરને ‘નેશનલ ડે’ તરીકે જાહેર કરવાની માગ કરી છે. નેતાજી અચાનક ગુમ થવા પાછળનું રહસ્ય શું છે, તેની પણ તપાસ થવી જોઈએ. આ ઉપરાંત જસ્ટિસ મુખર્જી આયોગનો રિપોર્ટ પણ જાહેર કરવો જોઈએ.
PM મોદીએ કોઈ જવાબ ન આપતાં હાઈકોર્ટ પહોંચ્યા મોહંતી
મોહંતીએ આ મામલે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપી માગ કરી હતી. પરંતુ કોઈ જવાબ ન મળતાં તે હાઈકોર્ટ પહોંચ્યા હતા. આ મામલે ઓડિશા હાઈકોર્ટના એક્ટિંગ જસ્ટિસ અરિંદમ સિંહા અને જસ્ટિગ મૃગાંક શેખર સાહુની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી જવાબ આપવા કહ્યું છે. આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે.