'...તો અમે વિદ્યાર્થીઓને NOC નહીં આપીએ', કલિંગા યુનિવર્સિટી મામલે નેપાળ સરકારની ભારતને ચેતવણી
KIIT Student Suicide Case Update: કલિંગા યુનિવર્સિટીના વિવાદને લઈને નેપાળ સરકારે મંગળવારે (18 ફેબ્રુઆરી) કહ્યું કે, જો ઓડિશાની એક ખાનગી યુનિવર્સિટીમાંથી એક વિદ્યાર્થિનીના મોતના કેસને યોગ્ય અને કાયદાકીય રીતે ઉકેલવામાં ન આવ્યો તો અમે ભારતની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે ઈચ્છુક પોતાના વિદ્યાર્થીઓને NOC (No Objection Certificate) આપવાનું બંધ કરી દઇશું. કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી (KIIT) માં Btech (કોમ્યુટર સાઇન્સ) ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય પ્રકૃતિ લમસલનો મૃતદેહ 16 ફેબ્રુઆરીની બપોરે તેની હોસ્ટેલના રૂમમાંથી મળી આવતા સમગ્ર વિવાદ ઊભો થયો હતો. પહેલી દ્રષ્ટિએ જોતા વિદ્યાર્થિનીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી.
રાજદ્વારી પ્રયાસો હાથ ધરાયા
નેપાળના શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, અમે ભવિષ્યમાં ઓડિશાની કોઈપણ યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને NOC આપવાનું બંધ કરી શકીએ છીએ. નેપાળ સરકારે KIIT માં અભ્યાસ કરનારા નેપાળી વિદ્યાર્થીઓના માતા-પિતાને ધીરજ રાખવાની અપીલ કરી છે. નેપાળના શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'આ ઘટનાથી ઊભી થયેલી મુશ્કેલીઓના અસરકારક નિરાકરણ માટે એક હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. આપણું વિદેશ મંત્રાલય KIITમાં નેપાળી વિદ્યાર્થીઓનો અભ્યાસ ફરી શરૂ કરવા અને અનુકૂળ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સાથે સતત રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું છે.'
શું છે KIIT નો સમગ્ર મામલો?
નેપાળની રહેવાસી પ્રકૃતિ લમસલ, ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT)માં બીટેક કોમ્પ્યુટર સાઇન્સની વિદ્યાર્થિની હતી. તેણે તેના બેચમેટ અને એક્સ બોયફ્રેન્ડ અદ્વિક શ્રીવાસ્તવ દ્વારા હેરાનગતિ બાદ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. સંસ્થામાં અભ્યાસ કરતા અન્ય નેપાળી વિદ્યાર્થીઓના એક ગ્રુપે પ્રકૃતિ લમસલ માટે ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારબાદ, યુનિવર્સિટી કેમ્પસમાં તણાવ ઘણો વધી ગયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં KIIT સુરક્ષાકર્મીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા નેપાળી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતાં જોવા મળ્યાં હતાં. યુનિવર્સિટી તંત્રએ જણાવ્યું હતું કે, ગર્લ્સ હોસ્ટેલના ડિરેક્ટર અને કોમ્પ્યુટર સાઇન્સ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસરને નેપાળી વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક વ્યવહાર અને વાંધાજનક ટિપ્પણીને લઈને કાઢી મૂક્યા છે.
નેપાળની સંસદમાં ઉઠ્યો મુદ્દો
આ દરમિયાન શિશિર ખનાલ, બીના લામા, સીતા મિઝર, શેર બહાદુર કુંવર અને શાંતિ બીકા સહિત નેપાળી સંસદ સભ્યોએ મંગળવારે (18 ફેબ્રુઆરી) શૂન્યકાળ દરમિયાન સભામાં KIIT ઘટના સંબંધિત મુદ્દો ઉઠ્યો હતો. નેપાળી સાંસદોએ સરકારને રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીના મૃત્યુની ગંભીરતા પૂર્વક તપાસ સુનિશ્ચિત કરવા અને KIIT માં અભ્યાસ કરતા અન્ય નેપાળી વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓને ઉકેલવા માટે જરૂરી રાજદ્વારી પ્રયાસો કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો, સ્થાનિક એકમની ચૂંટણી પહેલા 50 નેતાના પાર્ટીને રામ-રામ
ઓડિશા પોલીસે મંગળવારે એઈમ્સ ભુવનેશ્વરમાં પોસ્ટમોર્ટમ બાદ નેપાળી વિદ્યાર્થીનીનો મૃતદેહ તેના પિતાને સોંપ્યો. પ્રકૃતિના પિતા સુનીલ લમસલ પોતાના મિત્રો સાથે AIIMS ભુવનેશ્વર પહોંચ્યા હતાં અને મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન હાજર રહ્યા. તેમણે કહ્યું કે, આ વિદ્યાર્થિનીના મૃતદેહને નેપાળથી લઈ જવામાં આવશે અને ત્યાં જ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઓડિશા વિધાનસભામાં પણ વિપક્ષ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રી આરઝૂ રાણાનું નિવેદન
નેપાળના વિદેશ મંત્રી આરઝૂ રાણા દેઉબાએ જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં આપણું દૂતાવાસ આ સંબંધમાં કોલેજ તંત્ર અને ભારતીય સુરક્ષા એજન્સી સાથે સંકલન સાધી જરૂરી કાર્ય કરી રહ્યાં છે.
ભારતે નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહીનું આપ્યું આશ્વાસન
ભારત સરકારે આશ્વાસન આપ્યું છે કે, અમે નેપાળી વિદ્યાર્થીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઇશું. ભારતીય અધિકારીઓ આ મામલે ન્યાય નક્કી કરવા માટે પોતાના નેપાળી સમકક્ષો સાથે સતત સંપર્કમાં છીએ અને આ ઘટનામાં ગુનેગારોને તુરંત પકડી વિદ્યાર્થિનીને નિષ્પક્ષ ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ઓડિશા પોલીસે પુષ્ટિ કરી કે, આરોપી વિદ્યાર્થી અદ્વિક શ્રીવાસ્તવ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ સિવાય KIIT ના સુરક્ષા ગાર્ડ દ્વારા નેપાળી વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરવાની ઘટના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.