Navratri 2024: આ મંદિરની પરિક્રમા કરતાં દરેક ઇચ્છા થાય છે પૂરી, મા ભગવતી વરસાવે છે હેત!

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
Navratri 2024: આ મંદિરની પરિક્રમા કરતાં દરેક ઇચ્છા થાય છે પૂરી, મા ભગવતી વરસાવે છે હેત! 1 - image


Navratri 2024: નવરાત્રિ એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા-અર્ચના અને ગરબા કરવામાં આવે છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રિ - નવ એટલે 9 અને રાત્રિ એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. શેરી શેરીએ ગરબાની રમઝટ રમીને ખેલૈયાઓ આ ઉત્સવને ઉત્સાહથી ઉજવે છે. માતા દુર્ગાને સમર્પિત નવરાત્રિના તહેવારનું સનાતન ધર્મના લોકો માટે વિશેષ મહત્ત્વ છે. 

આ સમયગાળા દરમિયાન, વ્રત રાખવાની સાથે દેવી દુર્ગા એટલે કે દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના મંદિરોમાં પણ સારી એવી ભીડ જોવા મળે છે.

દેશમાં જ નહીં વિદેશમાં પણ દેવી-દેવતાઓને સમર્પિત અનેક મંદિરો છે, જેમાં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. આવું જ એક મંદિર ઉત્તર પ્રદેશના ખુર્જા શહેરમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે દેવી ભગવતીના આ મંદિરની 108 વાર પ્રદક્ષિણા કરવાથી દરેક સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી વિશેષ માન્યતાઓ વિશે.

માતા નવ સ્વરૂપોમાં જોવા મળે છે

નવદુર્ગા શક્તિ મંદિર ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા શહેરમાં આવેલું છે, જેને સ્તંભ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં દેવી ભગવતીની અઢાર ભુજાઓવાળી વિશાળ પ્રતિમા છે, જેમાં માતાના નવ સ્વરૂપો જોવા મળે છે. માતાની મૂર્તિ ચાર ટન અષ્ટધાતુની બનેલી છે, જેમાં 27 વિભાગ છે. કહેવાય છે કે નવદુર્ગાની આ મૂર્તિ 100થી વધુ શિલ્પકારોએ મળીને બનાવી હતી. માતાની પ્રતિમાની એક તરફ ભૈરવ બાબાની પ્રતિમા અને બીજી તરફ હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે. આ સાથે મંદિરમાં ભગવાન શંકરની વિશાળ મૂર્તિ પણ છે.

Navratri 2024: આ મંદિરની પરિક્રમા કરતાં દરેક ઇચ્છા થાય છે પૂરી, મા ભગવતી વરસાવે છે હેત! 2 - image

બે હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે આ મંદિર

આ મંદિર બે હજાર ચોરસ ફૂટમાં બનેલું છે, જેની ઊંચાઈ 30 ફૂટની આસપાસ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પિલર મંદિરનું નિર્માણ વર્ષ 1993માં કરવામાં આવ્યું હતું, પરંતુ માતાની મૂર્તિની સ્થાપના 13 ફેબ્રુઆરી 1995ના રોજ કરવામાં આવી હતી.

મંદિરનું શિખર લગભગ 60 ફૂટ ઊંચું છે. આ ઉપરાંત મંદિરની દરેક દીવાલ પર અદ્ભુત કોતરણી પણ કરવામાં આવી છે. 

ભક્તો માટે મંદિરના દરવાજા દરરોજ સવારે ચાર વાગ્યે ખૂલી જાય છે. મંદિરમાં નિયમિત રીતે પૂજા અને આરતી કરવામાં આવે છે. દર વર્ષે સામાન્ય દિવસો કરતાં નવરાત્રિના અવસરે મંદિરમાં લોકોની મોટી ભીડ જોવા મળે છે.

Navratri 2024: આ મંદિરની પરિક્રમા કરતાં દરેક ઇચ્છા થાય છે પૂરી, મા ભગવતી વરસાવે છે હેત! 3 - image

પ્રદક્ષિણા કરવાથી જ ઇચ્છા પૂરી થાય છે!

ધાર્મિક માન્યતા અનુસાર, જે લોકો સાચા મનથી નવદુર્ગા શક્તિ મંદિરની મુલાકાત લે છે અને સમગ્ર મંદિરની 108 વાર પરિક્રમા કરે છે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરિક્રમા પછી, મંદિર પરિસરમાં હાજર સ્તંભ પર કલાવે સાથે ગાંઠ બાંધવી પણ જરૂરી છે. આ પછી જ પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. આ મંદિર વિશે એવું પણ કહેવાય છે કે, આ મંદિરની 108 પરિક્રમા કરવાથી ગોવર્ધનની એક પરિક્રમા બરાબર પરિણામ મળે છે.


Google NewsGoogle News