લોકોને 72 કલાક કામ કરવાની સલાહ આપનારા દિગ્ગજ બિઝનેસમેન નવી પોસ્ટ બદલ થયા ટ્રોલ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
લોકોને 72 કલાક કામ કરવાની સલાહ આપનારા દિગ્ગજ બિઝનેસમેન નવી પોસ્ટ બદલ થયા ટ્રોલ 1 - image


Narayana Murthy Trolled: ઈન્ફોસિસના સ્થાપક અને દિગ્ગજ બિઝનેસમેન નારાયણ મૂર્તિ છેલ્લા કેટલાક સમયથી તેમના મંતવ્યો બદલ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. વ્યક્તિએ અઠવાડિયામાં લગભગ 72 કલાક કામ કરવું જોઈએ (Narayana Murthy’s 72 Hour Work Advice) તેવા નિવેદનથી ચારેકોર ભારે હોહાપો સર્જાયો હતો. હવે સ્થિતિ એવી છે કે તેમની દરેક પોસ્ટ પર લોકો એનકેન પ્રકારે ટ્રોલ કરતા જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં તેમણે બાળકોના ઉછેર એટલેકે પેરેન્ટિંગ (Parenting Tips) મામલે લોકોને ટિપ્સ આપી હતી. આ અભિપ્રાય બાદ ફરી તેઓ ઈન્ટરનેટ યુઝર્સના ટ્રોલ બન્યા અને જૂના નિવેદન સાથે સરખામણી કરીને અનેક સવાલો કરવા લાગ્યા છે.

હવે શું કીધું નારાયણ મૂર્તિએ ?

એક કાર્યક્રમ દરમિયાન પેરેન્ટિંગ ટિપ્સ આપતાં નારાયણ મૂર્તિએ કહ્યું કે માતા-પિતા પોતે ફિલ્મ જોઈ રહ્યાં હોય તો બાળકોને ભણવાનું ન કહી શકે. તેમનો કહેવાનો મતલબ હતો કે બાળકોના ઘડતર માટે મા-બાપે પણ ભોગ આપવો પડે છે. મૂર્તિએ વધુમાં કહ્યું કે મારી પત્ની સુધા અને હું બાળકોના શાળાના દિવસોમાં તેમને ભણાવવા માટે દરરોજ સાંજે સાડા ત્રણ કલાકથી વધુ સમય ફાળવતા હતા. બાળકોના શિક્ષણ માટે ઘરમાં શિસ્તનું વાતાવરણ ઊભું કરવાનું કામ માતા-પિતાનું છે. આ સલાહ બાદ હવે સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યાં છે.

નારાયણ મૂર્તિના નિવેદન પર ટિપ્પણી કરતા રેણુકા જૈન નામની યુઝરે કહ્યું, “જો માતા-પિતા તમારી સલાહ મુજબ 72 કલાક કામ કરે છે, તો તેઓ તેમના બાળકોને ક્યારે સમય આપશે?” ઈશ્વર સિંહ નામના એક યુઝરે ટિપ્પણી કરી કે, “માતા-પિતા અને બાળકોએ ફિલ્મો જોવાનું બંધ કરવું જોઈએ અને ઓછા પગાર પર અઠવાડિયામાં 72 કલાક કામ કરવું જોઈએ અને તે પણ નાઈટ શિફ્ટમાં. વાહ!” અન્ય એક યુઝરે લખ્યું, ‘ઉદાહરણ સ્થાપિત કરવા માટે, શું Infosys માતા-પિતા કર્મચારીઓને વહેલી રજા આપશે જેથી બાળકો સાથે 3.5 કલાક બેસી શકે. બાય ધ વે, શિસ્તબદ્ધ લોકો ટેક્સ ટાળી શકે છે કે શું? આ નિવૃત્ત વ્યક્તિને કોઈ આરામ કરવાની સલાહ આપો.’

યુવાનોને 72 કલાક કામ કરવાની હાકલ :

તમને જણાવી દઈએ કે નારાયણ મૂર્તિએ ગયા વર્ષે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે જાપાન અને જર્મનીની જેમ ભારતમાં પણ યુવાનોને ઓવરટાઇમ કામ કરાવવાની જરૂર છે કારણકે ભારતની વર્ક પ્રોડક્ટિવિટી ઘણી ઓછી છે. તેમણે દેશના યુવાનોને અઠવાડિયામાં 72 કલાક કામ કરવાની હાકલ કરી હતી. તેમના આ નિવેદન પછી લોકો ભારે ગુસ્સે થયા હતા અને તેમના નિવેદનની સખત નિંદા કરી હતી. 

લોકોને તેમનું નિવેદન તદ્દન વાહિયાત લાગ્યું હતુ. જોકે અમુકનું માનવું છે કે તેમણે અન્યના જીવન પર પોતાનું જ્ઞાન ન આપવું જોઈએ. દુનિયા જેમ છે તેમ ચાલુ રહેશે અને ચાલતી જ રહેશે, તેમનું જ્ઞાન કોઈ પરિવર્તન નહિ લાવી શકે.

વધુ વાંચો : ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: ગણેશ વિસર્જન વખતે 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 3ના મોત 


Google NewsGoogle News