Get The App

કાયદાનું પાલન કરીશ, પરંતુ માફી નહીં માંગુઃ મુંબઈ પોલીસની પૂછપરછમાં કોમેડિયન કુણાલ કામરાની સ્પષ્ટ વાત

Updated: Mar 24th, 2025

GS TEAM


Google News
Google News
કાયદાનું પાલન કરીશ, પરંતુ માફી નહીં માંગુઃ મુંબઈ પોલીસની પૂછપરછમાં કોમેડિયન કુણાલ કામરાની સ્પષ્ટ વાત 1 - image


Kunal Kamra Controversy : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષભર્યો વીડિયો બનાવનાર સ્ટેન્ડઅપ કોમેડિયમ કુણાલ કામરા વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી ચાલી રહી છે. કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુદ્દે મુંબઈ પોલીસ અધિકારીઓએ તેનો ફોન પર સંપર્ક કર્યો છે. કુણાલ કામરાએ પોલીસ અધિકારીઓને કહ્યું કે, તેઓ તપાસ સંપૂર્ણ સહયોગ કરશે, જોકે હાલ તેઓ મુંબઈમાં નથી. એવું કહેવાય છે કે, પોલીસ અધિકારીઓએ તેની સાથે વાત કરી પણ હાજર થવા કોઈ તારીખ આપી નથી.

‘હું માફી નહીં માંગુ, કાયદાકીય પ્રક્રિયા-કોર્ટના આદેશનું પાલન કરીશ’

સૂત્રોના જણાવ્યા મુજબ કામરાએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ આ મુદ્દે માફી નહીં માંગે, જોકે કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટના આદેશનું પાલન કરશે. ઉલ્લેખનીય છે કે, કામરાએ શિંદે પર કાટક્ષ કરતો વીડિયો બનાવ્યો હતો, જેના કારણે તે મુશ્કેલીમાં ફસાયો છે. તેનો વીડિયો વાયરલ થયા બાદ શિવસેનાના કાર્યકર્તાઓ રોષે ભરાયા છે અને તેઓએ તેના મુંબઈ સ્થિત સ્ટુડીયોમાં તોડફોડ કરી હતી. આ જ સ્ટુડીયોમાં કામરાના શૉનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ કામરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

કામરાનો સ્ટુડીયો અસ્થાયી ધોરણે બંધ

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીઓએ મુંબઈના હેબિટેટ સ્ટુડિયો પર કાર્યવાહી હાથ ધરી છે. આ સ્ટુડિયોનો એક હિસ્સો તોડી પડાયો છે. આ સ્ટુડિયોમાં જ કામરાનો વિવાદિત શૉ થયો હતો, જેમાં તેણે શિંદેને ગદ્દાર કહેતા મામલો ગરમાયો હતો. આ વિવાદ બાદ હેબિટેટ સ્ટુડિયોએ નિવેદન જાહેર કરી અસ્થાયી ધોરણે સ્ટુડિયો બંધ કર્યો હતો. યુનિકોન્ટિનેટલ હોટલમાં આવેલા હેબિટેટ સ્ટુડિયોએ જણાવ્યું હતું કે, ‘અહીં આવતા કલાકાર તેમના વિચારો અને રચનાત્મક વિકલ્પો માટે પોતે જવાબદાર છે. અમે ક્યારેય તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા કન્ટેન્ટમાં સંડોવાયેલા નથી. પરંતુ હાલની ઘટનાઓએ અમને ફરી વિચારવા મજબૂર કર્યા છે કે, કેવી રીતે અમને વારંવાર દોષિત ઠેરવવામાં આવી રહ્યા છે. અમે કલાકારના પ્રતિનિધિ હોઈએ એ રીતે અમારા પર હુમલો થઈ રહ્યો છે. જ્યાં સુધી અમે પોતે અને પોતાની સંપત્તિને જોખમમાં મૂક્યા વિના મુક્ત અભિવ્યક્તિ માટે એક મંચ પ્રદાન કરવાની રીત શોધી ન કાઢીએ ત્યાં સુધી અમે સ્ટુડિયો બંધ રાખીશું.’

આ પણ વાંચો : કોમેડિયન કુણાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો, હોટેલ-સ્ટુડિયોમાં શિવસૈનિકોની તોડફોડ

એકનાથ શિંદે પર નિવેદનથી શિવસેના રોષે

કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. શિંદે પર આકરા પ્રહારોથી શિવસેના રોષમાં આવી હતી. તેઓએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકોએ દાવો કર્યો હતો કે, આ સ્ટુડિયોમાં કુણાલનો વીડિયો રૅકોર્ડ કરવામાં આવ્યો હતો. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે.  

ઉદ્ધવ ઠાકરેનું કામરાને સમર્થન

શિવસેના (ઉદ્ધવ જૂથ) નેતા ઉદ્ધવ ઠાકરે કુણાલ કામરાના સમર્થનમાં ખુલીને આવ્યા છે. તેમણે કહ્યું કે, 'મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે. ગીતમાં કંઈ જ ખોટું નથી.' ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના જૂથની શિવસેના દ્વારા કુણાલ કામરાને જ્યાં મળે ત્યાં મારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે તે વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. 

જયા બચ્ચન પણ કામરાના સમર્થનમાં

અગાઉ સપા સાંસદ જયા બચ્ચન પણ કામરાના સમર્થનમાં આવ્યા હતા. તેમણે કહ્યું, 'વાણી સ્વાતંત્ર્ય ક્યાં છે? જ્યારે હોબાળો થાય ત્યારે જ કાર્યવાહી કરવાની સ્વતંત્રતા હોય છે. તમે (એકનાથ શિંદે) સત્તા માટે તમારો મૂળ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાયા. શું આ બાલાસાહેબ ઠાકરેનું અપમાન નથી?'

આ પણ વાંચો : કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો

કુણાલ કામરા વિવાદ

સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એક હોટલમાં કોમેડી કરતી વખતે શિવસેનાના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતાં ગીત પર પૅરડી બનાવી હતી. જેમાં તેણે શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. આ પૅરડી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિવસેનાના કાર્યકારો રોષે ભરાયા હતા. શિવસૈનિકો નારાજ થયા હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયો અને હોટલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકોએ દાવો કર્યો છે કે, આ સ્ટુડિયોમાં કુણાલનો વીડિયો રૅકોર્ડ કરવામાં આવ્યો હતો. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી છે.  

આ પણ વાંચો : 'જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી....' કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

Tags :