MP Election 2023: કોંગ્રેસ પાસે વિકાસનું કોઈ વિઝન નથી- CM શિવરાજ સિંહ ચૌહાણ
Image Source: Twitter
- મધ્ય પ્રદેશમાં બીજેપીની સરકાર 'ભ્રષ્ટાચારનું કેન્દ્ર': રાહુલ ગાંધી
ઈન્દોર, તા. 01 ઓક્ટોબર 2023, રવિવાર
મધ્ય પ્રદેશમાં આ વર્શના અંતમાં 230 વિધાનસભાની બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે. આ વચ્ચે કોંગ્રસ અને ભાજપ સતત રાજ્યની મુલાકાત લઈ જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહી છે. બીજી તરફ ચૂંટણી પ્રચાર વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો પણ યથાવત છે.
એક બાજુ મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જનસભાને સંબોધિત કરીને કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રસ નેતા રાહુલ ગાંધી પણ કિસાન મુદ્દે છેડીને ભાજપની ભૂલો ગણાવી રહ્યા છે. બીજેપીએ અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશ વિધાનસભાની 230માંથી 78 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગઈ કાલે ઈન્દોરમાં એક જાહેર સભાનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પાસે રાજ્યના વિકાસ માટે કોઈ વિઝન નથી.
રાજ્યની જનતાની સવાલ કરતા સીએમ શિવરાજે કહ્યું કે, હું રાજ્યની જનતાને પૂછવા માંગુ છું કે, ઈન્દોરમાં જેટલા વિકાસ કાર્યો બીજેપી સરકારે કર્યા એટલા વિકાસના કામો કોંગ્રેસે પોતાના શાસન દરમિયાન કર્યા? કોંગ્રેસ પાસે વિકાસનું કોઈ વિઝન નથી. અગાઉની કોંગ્રેસ સરકારો પાસે પૈસા નહોતા પરંતુ આજે વિકાસના કામો માટે પૈસાની કમી નથી.
જનસભાને સંબોધિત કરતા પહેલા સીએમ ચૌહાણે ઈન્દોરમાં મેટ્રો રેલના પ્રથમ તબક્કાની ટ્રાયલ પ્રક્રિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. સીએમ શિવરાજે X પર લખ્યું કે, આજે મારું દિલ ખુશ છે. આપણું ઈન્દોર એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે. ઈન્દોરના રહેવાસીઓ મેટ્રો તો માત્ર શરૂઆત છે આપણે સાથે મળીને ઈન્દોરને વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાંથી એક બનાવીશું. હવે ઈન્દોરના વિકાસની ગતિ ધીમી નહીં પડે.
રાહુલ ગાંધીએ છેડ્યો કિસાન મુદ્દો
બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગઈ કાલે ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશના શાઝાપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી. રાહુલે પણ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં તેમની સરકાર 'ભ્રષ્ટાચારનું કેન્દ્ર' છે અને ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય કિંમત આપવામાં નથી આવી રહી.
રાહુલ ગાંધીએ રાજ્યની ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સીએમ શિવરાજ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર નથી કર્યા અને કેન્દ્ર સરકારના સચિવ સ્તરે ઓબીસીનું ખૂબ જ ઓછું પ્રતિનિધિત્વ છે.