'ખુબ જ ચાલાક છે કોંગ્રેસ, અમને જ દગો આપી દીધો તો પછી...', અખિલેશ યાદવના ગંભીર આરોપ

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
'ખુબ જ ચાલાક છે કોંગ્રેસ, અમને જ દગો આપી દીધો તો પછી...', અખિલેશ યાદવના ગંભીર આરોપ 1 - image


Image Source: Twitter

- કોંગ્રેસ મત મેળવવા માટે જાતિગત વસતી ગણતરી કરાવવા માંગે છે: અખિલેશ યાદવ

ટીકમગઢ, તા. 05 નવેમ્બર 2023, રવિવાર

MP Election 2023: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત આ મહિને મતદાન થવાનું છે. મતદાનની તારીખ આવે તે પહેલા દરેક પાર્ટી પ્રચાર કરીને જીત મેળવવા માટે પોતાની કમર કસી રહી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ પણ પ્રચાર માટે પહોંચ્યા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસને 'ચાલાક પાર્ટી' ગણાવી દીધી છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે વિધાનસભામાં સીટની વહેંચણીને લઈને કોઈ સહમતિ નથી બની શકી. તેથી ત્યાર બાદથી જ અખિલેશ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના ટીકમગઢમાં એક ચૂંટણી રેલીમાં અખિલેશ યાદવે પહેલા ભાજપ અને પછી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, અહીં રાશનમાં કંઈ નથી મળી રહ્યું. જો તમને રાશનમાં કંઈ નથી મળી રહ્યું તો તમે ભાજપને કેમ મત આપશો. તમે ભાજપને પણ મત ન આપશો અને કોંગ્રેસને પણ મત ન આપશો. કોંગ્રેસ પણ ખૂબ જ ચાલાક પાર્ટી છે. કોંગ્રેસથી સાવધાન રહેશો કે નહીં?

અખિલેશ યાદવે કોઈપણ નેતાનું નામ લીધા વગર વધુમાં કહ્યું કે, બંસલ દુઃખી છે કે કોંગ્રેસે તેમને દગો આપ્યો છે, જેણે અમને જ દગો આપી દીધો તો તમારી શું વાત છે? બંસલ દુઃખી છે અને કહે છે કે કોંગ્રેસે અમને ઓળખ્યા જ નહીં. જેમની ઉંમર 80 વર્ષ થઈ ગઈ છે તેઓ તમને કઈ રીતે ઓળખશે. કોઈની સામે નારાજગી નથી. પરંતુ અમે માનીએ છીએ કે, જેની ઉંમર 80 વર્ષ થઈ ગઈ હોય તેઓ ક્યારેક-ક્યારેક ન ઓળખી શકે. અમારી ભૂલ છે કે અમે 80 વર્ષના લોકો પર વિશ્વાસ કર્યો કે તેઓ અમને ઓળખશે. એટલા માટે મિત્રો આવા લોકોથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે.

અખિલેશ યાદવે આ દરમિયાન એવો પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ મત મેળવવા માટે જાતિગત વસતી ગણતરી કરાવવા માંગે છે. એસપી ચીફે કહ્યું કે, અમે અહીં સારી શરૂઆત કરી રહ્યા છીએ. અમે શરૂઆતથી જ કામ કરતા રહીશું. અમને વડીલો પર વિશ્વાસ છે અને યુવાનો પર પણ વિશ્વાસ છે. યુવાનો અમને મદદ કરશે કારણ કે તેમનો અને અમારો સાથ રહેશે. કોંગ્રેસ જાતિગત વસતી ગણતરી કરાવવા માંગે છે. કોંગ્રેસ જાતિગત વસતી ગણતરી કરાવવા માંગે છે કારણ કે તેના મત ભાજપને ગયા છે. તેઓ મત માટે જાતિ ગણતરી કરાવવા માંગે છે. અમે સમાજવાદી લોકોને અધિકાર અપાવવા માટે જાતિગત વસતી ગણતરી કરાવી રહી છે. 


Google NewsGoogle News