આસામમાં બાળ લગ્ન વિરુદ્ધ 4,000થી વધુ કેસ દાખલ
- તમામ મામલાઓ પર 3 ફેબ્રુઆરીથી કાર્યવાહી શરૂ થશે: CM હિમંત બિસ્વા સરમા
ગુવાહાટી, તા. 02 ફેબ્રુઆરી 2023, ગુરૂવાર
બાળ લગ્નને રોકવા માટે આસામ સરકારે કમર કસી લીધી છે. અને તેની સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુરુવારે રાજ્યના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું હતું કે, આસામ સરકાર રાજ્યમાં બાળ લગ્નના જોખમને સમાપ્ત કરવાના તેના સંકલ્પ પર મક્કમ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં આસામ પોલીસે સમગ્ર રાજ્યમાં 4,004 કેસ નોંધ્યા છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ કાર્યવાહી થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, તમામ મામલાઓ પર 3 ફેબ્રુઆરીથી કાર્યવાહી શરૂ થશે. એટલા માટે સૌના સહકારની અપીલ છે.
તમને જણાવી દઈએ કે, આસામની હેમંત બિસ્વા સરકારે હાલમાં જ 14 વર્ષથી ઓછી ઉંમરના લગ્નો પર POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આસામમાં 14 થી 18 વર્ષની વય જૂથમાં લગ્ન કરવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 હેઠળ કેસ નોંધવામાં આવશે. આસામમાં માતા અને બાળ મૃત્યુદર ઊંચો છે. રાજ્યમાં બાળ લગ્નો એટલો બધો વધી રહ્યો છે કે રાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ રાજ્યમાં 31 ટકા લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરમાં થઈ રહ્યા છે.