મોદી સરકારે 15 જ દિવસમાં બેક ટુ બેક 3 નિર્ણય પાછા ખેંચ્યા, ચર્ચા વગર જ નિર્ણય લીધાની અટકળો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
મોદી સરકારે 15 જ દિવસમાં બેક ટુ બેક 3 નિર્ણય પાછા ખેંચ્યા, ચર્ચા વગર જ નિર્ણય લીધાની અટકળો 1 - image


Modi Government on Backfoot | કેન્દ્રની  નરેન્દ્ર મોદી સરકારે વિરોધ પક્ષો અને એનડીએના જ સાથી પક્ષોના દબાણ સામે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. આ સાથે સરકારે રાજકીય શરણાગતિની હેટ્રિક પૂરી કરી છે કેમ કે છેલ્લાં એક પખવાડિયામાં સરકારે ત્રીજી વાર રાજકીય મોરચે મોટી પીછેહઠ કરવી પડી છે.

લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાના સરકારના નિર્ણયથી રાહુલ ગાંધીનું રાજકીય વજન પણ વધ્યું છે. રાહુલ ગાંધી મોદી સરકારને ભીંસમાં મૂકતા એક પછી એક મુદ્દા ઉભા કરીને વિપક્ષના નેતાની ભૂમિકા અસરકારક રીતે ભજવી રહ્યા હોવાની છાપ મજબૂત થઈ રહી છે.

આ પહેલાં સરકારે વકફ એક્ટમાં સુધારાનો ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને સોંપવાની ફરજ પડી હતી. સરકારે મોટા ઉપાડે 8 ઓગસ્ટે લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ એક્ટ રજૂ તો કરી દીધો પણ વક્ફ એક્ટમાં સુધારાની હિલચાલ સામે પણ ભાજપના સાથી પક્ષોએ જ વાંધો લેતાં દસ વર્ષના શાસનમાં સરકારે પહેલી વાર કોઈ ખરડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને સોંપવો પડ્યો હતો. ભાજપે વકફ એક્ટમાં સુધારાને મુદ્દે કરેલી પીછેહઠના કારણે હિંદુવાદીઓ નારાજ છે.

મોદી સરકારે એ પછી મીડિયાને નાથવા માટે સોશિયલ બનાવેલું બ્રોડકાસ્ટિંગ બિલ વિપક્ષો અને સાથી પક્ષોના દબાણ બેઠળ પાછું ખેચવું પડ્યું હતું. સરકારે બ્રોડકાસ્ટિંગ બિલને મુસદ્દા પણ જેમનાં હિતો સંકળાયેલા છે તેમને મોકલી આપેલો પણ પછી અચાનક ૧૩ ઓગસ્ટે બિલ પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.

સરકારના આ ખરડાને મીડિયાએ રાક્ષસી ગણાવેલો અને તેના કારણે અભિક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ આવી જશે એવું કહીને ઉગ્ર વિરોધ કર્યો હતો. વિપક્ષો પણ આ મુદ્દે લડાયક મૂડમાં હોવાથી સરકારે શરણાગતિ સ્વીકારવી પડી હતી. સરકારે બ્રોડકાસ્ટિંગ બિલનો નવો મુસદ્દો બહાર પાડવાની જાહેરાત કરી છે પણ નવા ખરડામાં સોશિયલ મીડિયાને નાથવા માટેની જૂની જોગવાઈઓ નહીં હોય એ સ્પષ્ટ છે.

હવે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરખબર પ્રસિધ્ધ થયાના ત્રણ દિવસમાં જ ભરતી રદ કરવાનો નિર્ણય લઈને સરકારે હેટ્રિક કરી નાંખી છે. લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડયો એ મોદી સરકાર માટે મોટી લપડાક છે કેમ કે 2018થી થતી લેટરલ એન્ટ્રી ભરતીનો બહુ વિરોધ થયો હતો. સરકારની ત્રણ મહત્વના મુદ્દે પીછેહઠ રાજકીય રીતે મોદી સરકાર અત્યંત નબળી હોવાનું સાબિત કરે છે એવું ભાજપના જ નેતા સ્વીકારે છે.

લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીના મુદ્દે જેડીયુ અને એલજેપી બંનેએ વિરોધ કર્યો હતો. ભાજપ પહેલાં એનડીએના સાથી પક્ષોને ગણતરીમાં લેતો જ નહોતો. તેમના પર પોતાના નિર્ણયો થોપી દેતો હતો પણ લોકસભામાં સ્પષ્ટ બહુમતી નહીં હોવાથી હવે સાથી પક્ષોને પણ અવગણી શકતો નથી.

આ ત્રણ નિર્ણય પર પીછેહઠ 

8 ઓગસ્ટ

લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ ૨જૂ કરાયું પણ વિરોધના પગલે જેપીસીને સોંપવું પડ્યું. દસ વર્ષમાં પહેલી વાર મોદી સરકારે કોઈ બિલ જેપીસીને સોંપવું પડ્યું. 

13 ઓગસ્ટ 

આ દિવસે સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ રજૂ કર્યું. તેના પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સહિતના વિરોધીઓનો અવાજ દબાવી દેવાનો આરોપ હતો, જેનો આક્રમક વિરોધ થતાં બિલ પાછું ખેંચવું પડ્યું.

20 ઓગસ્ટ 

યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી માટે જાહેર ખબર પ્રકાશિત કરાઈ. જો કે તેનો દેશભરમાં વિરોધ થતાં ત્રણ જ દિવસમાં 45 ક્લાસ વન અધિકારીની લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો નિર્ણય રદ કરવો પડ્યો. 

મોદી સરકારે 15 જ દિવસમાં બેક ટુ બેક 3 નિર્ણય પાછા ખેંચ્યા, ચર્ચા વગર જ નિર્ણય લીધાની અટકળો 2 - image


Google NewsGoogle News