મોદી સરકારે નાયડુની માગ સ્વીકારી, રૂ. 60000 કરોડનો કરશે ખર્ચો, નીતિશ કુમાર હજુ ખાલી હાથ?

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
 Narendra Modi, Chandrababu Naidu, Nitish Kumar

Image: IANS

Central Government: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની બેઠકને માત્ર 5 દિવસ જ થયા છે, કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશમાં 60,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માગણી સ્વીકારી છે. ચંદ્રબાબુ નાયડુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજ્યમાં રિફાઈનરી સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે. કારણ કે કેન્દ્ર સરકારમાં TDPની સાથે JDUની પણ મહત્ત્વની ભૂમિકા છે.

બેજેટમાં રિફાઈનરી અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે

અહેવાલો અનુસાર, ઓઈલ રિફાઈનરીને લઈને ત્રણ સ્થળો અંગે ચર્ચા થઈ છે. જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે. 23મી જુલાઈએ રજુ થનારા બેજેટમાં રિફાઈનરી અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જાણાવ્યાનુસાર, સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.

આ પણ વાંચો:  દેશના 4 રાજ્યોમાં ચોમાસું આફત બન્યું, 182નાં મોત, ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ, હજારો યાત્રી ફસાયા


મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે. કારણ કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઈનરી સ્થાપિત કરવા પર આગ્રહ કર્યો હતો. તેમના 16 સાંસદો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપે છે. જો કે, નાયડુ સ્પષ્ટપણે સતત કહી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યના હિતોને ધ્યાનમાં રાખે છે અને કોઈપણ માંગ સાથે સરકારને તોડી પાડશે નહીં.

બીપીસીએલ અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ સત્તાવાર જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 'X' પર લખ્યું, 'દેશના પૂર્વ કિનારે વ્યૂહાત્મક રીતે સ્થિત અમારું રાજ્ય નોંધપાત્ર પેટ્રોકેમિકલ ક્ષમતા ધરાવે છે. આજે હું ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણ કુમારના નેતૃત્વમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્રતિનિધિઓને મળ્યો. અમે 60થી 70 હજાર કરોડ રૂપિયાના રોકારણ સાથે આંધ્ર પ્રદેશમાં ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સની સ્થાપનાની સંભાવના છે. મેં આ પ્રોજેક્ટ માટે વિગતવાર યોજના સાથેનો અહેવાલ માંગ્યો છે, જેને કોઈપણ સમસ્યા વિના પૂર્ણ કરવા માટે 5000 એકર જમીનની જરૂર પડશે.'

બિહારની મુખ્ય માંગ

બિહારે નવ એરપોર્ટ, ચાર નવી મેટ્રો લાઇન અને સાત મેડિકલ કોલેજો સાથે 200 અબજ રૂપિયાના થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે ભંડોળની માંગ કરી છે. 20,000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓના સમારકામ માટે અલગ પેકેજની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બિહારને લઈને બજેટમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે.


Google NewsGoogle News