Cyclone Michaung: આજે માઈચૌંગ ચક્રાવતમાં ફેરવાશે, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
Cyclone Michaung: આજે માઈચૌંગ ચક્રાવતમાં ફેરવાશે, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી 1 - image


- ચક્રવાતી વાવાઝોડાના પવનની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની શક્યતા

નવી દિલ્હી, તા. 03 ડિસેમ્બર 2023, રવિવાર

Cyclone Michaung: બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી પર બનેલું પ્રેશર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી ગયુ છે જે ડીપ પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ખાડી પર એક ચક્રવાતી વાવાઝાડું 'માઈચૌંગ'માં ફેરવાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગની ચક્રવાતની આગાહી પ્રમાણે તેના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને પુંડુચેરીમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ રાજ્યો માટે IMDએ 3, 4 અને 5 ડિસેમ્બર માટે અલગ-અલગ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પર જાહેર કર્યા છે.

હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બર માટે તટીય આંધ્રપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ બે દિવસો દરમિયાન તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં ભારેથી અતિ ભારે વરસાદ (204.4 મીમીથી ઉપર)ની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત દરેકને ભારે વરસાદ માટે તૈયાર રહેવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાતી વાવાઝોડાના પવનની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 3 અને 4 ડિસેમ્બરે ભારે વરસાદ પડવાની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યો અને અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ (115.6 થી 204.4 મીમી) પડવાની શક્યતા વ્યક્ત કરી છે. 

આ ચક્રવાતી વાવાઝોડાની મોટી અસર ઓડિશા રાજ્યના મોટાભાગના ક્ષેત્રમાં પડશે. તે અંગે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને તેના માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે. 4 ડિસેમ્બરના રોજ ઓડિશાના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા ઓડિશાના દક્ષિણ તટીય અને આસપાસના દક્ષિણ આતંરિક ઓડિશાના અલગ-અલગ ભાગમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ 5 ડિસેમ્બરે 115.6 થી 204.4 મીમી સુધીના ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

IMDના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ અને આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયા બાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. 4 ડિસેમ્બરના રોજ બપોર સુધીમાં તે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને આસપાસના ઉત્તર તમિલનાડુ તટોથી થઈને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચશે.

પૂર્વી તટીય રેલવેએ 45 ટ્રેનો રદ કરી

ચક્રવાત માઈચૌંગના ખતરાને ધ્યાનમાં રાખીને પૂર્વી તટીય રેલવેએ સાવચેતીના ભાગ રૂપે 54 ટ્રેનો રદ કરી છે. તેમાં પૂર્વી તટીય રેલવે ઝોનથી ચાલતી અથવા પસાર થતી એક્સપ્રેસ, મેલ અને વિશેષ ટ્રેનો સામેલ છે. ટ્રેનોને 2 થી 7 ડિસેમ્બર સુધી રદ કરવામાં આવી છે. રેલવેએ મુસાફરોને પણ સલાહ આપી છે કે, મુસાફરી માટે નીકળતા પહેલા ટ્રેનોના સંચાલનની સ્થિતિ તપાસ કરી લેવી. રદ કરાયેલી ટ્રેનોમાં બરૌલી-કોઈમ્બતુર વીકલી, ધનબાદ-અલ્લપુઝા એક્સપ્રેસ પણ સામેલ છે.



Google NewsGoogle News