‘એક દેશ, એક ચૂંટણી’ સમિતિની બેઠક સંપન્ન, પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે કરી અધ્યક્ષતા
દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે તમામ રાજકીય પક્ષોના વિચારો જાણવા પત્રો લખાયા
પક્ષોને આગામી 3 મહિનામાં પોતાના વિચારો લેખીતમાં મોકલવાનો પણ વિકલ્પ અપાયો
નવી દિલ્હી, તા.25 ઓક્ટોબર-2023, બુધવાર
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)ની અધ્યક્ષતામાં દિલ્હીના જોધપુર હોસ્ટલમાં યોજાયેલ ‘એક દેશ, એક ચૂંટણી’ (One Nation One Election)ની બેઠક સંપન્ન થઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના અધ્યક્ષ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) પણ ઉપસ્થિત હતા.
વિધિ આયોગની અધ્યક્ષે ઉચ્ચસ્તરીય સમિતિ સાથે મુલાકાત કરી
મળતા અહેવાલો મુજબ દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના રોડમેપ પર ચર્ચા કરવા વિધિ આયોગની અધ્યક્ષ ન્યાયમૂર્તિ રિતુ રાજ અવસ્થીએ કેટલાક સભ્યો સાથે ઉચ્ચસ્તરીય સમિતિ સાથે મુલાકાત કરી. પેનલે દેશમાં એક સાથે ચૂંટણી કેવી રીતે યોજી શકાય ? તેના પર વિચાર કરવા માટે વિધિ આયોગને આમંત્રણ પાઠવ્યું હતું.
રાજકીય પક્ષોના વિચારો જાણવાની પ્રક્રિયા શરૂ
સમિતિએ તાજેતરમાં જ યોજાયેલી પ્રથમ બેઠકમાં આ મામલે રાજકીય પક્ષોના વિચારો જાણવાનો નિર્ણય કર્યો હતો અને હવે તે માટે તમામ રાજકીય પક્ષોને પત્રો પણ લખાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકીય પક્ષોને પરસ્પર એક તારીખ નક્કી કરી વાતચીત કરવા જણાવાયું છે. રાજકીય પક્ષોને આગામી 3 મહિનામાં પોતાના વિચારો લેખીતમાં મોકલવાનો પણ વિકલ્પ અપાયો છે.
'વન નેશન વન ઈલેક્શન' એટલે શું ?
'વન નેશન વન ઈલેક્શન' એ ભારતમાં લગભગ તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજવાનો એક વિચાર છે. તેનો અર્થ એ છે કે દેશની કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકાર માટે અલગ-અલગ સમયે ચૂંટણી કરાવવાના બદલે, દર પાંચ વર્ષે એકસાથે ચૂંટણી કરવામાં આવે. આ વિચાર સારો લાગે છે કારણ કે વન નેશન વન ઇલેક્શનથી સમય અને નાણાં બચાવી શકે છે, પરંતુ કેટલાક લોકો ચિંતા કરે છે કે તે કરવું મુશ્કેલ હોઈ શકે છે અને રાજ્ય સરકારની શક્તિને અસર કરી શકે છે.