યુપીની જેમ હવે 'મહાકાલ નગરી' માં પણ લારી-ગલ્લા-દુકાનદારોને નેમ પ્લેટ લગાવવા મેયરનું ફરમાન

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
યુપીની જેમ હવે 'મહાકાલ નગરી' માં પણ લારી-ગલ્લા-દુકાનદારોને નેમ પ્લેટ લગાવવા મેયરનું ફરમાન 1 - image
File Photo

Shopkeeper Will Have To Put Up The Name Plate In Ujjain: ઉત્તર પ્રદેશની સરકારે કાવડ યાત્રાના રૂટ પરના દુકાનદારો અને વિક્રેતાઓને તેની દુકાનો અને ગાડીઓ પર નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યા પછી હવે ઉજ્જૈન મહાનગરપાલિકાએ શનિવારે દુકાન માલિકોને તેમની દુકાનોની બહાર તેમના નામ અને મોબાઈલ નંબરવાળી પ્લેટો લગાવવાનો આદેશ આપ્યો છે.

જો આદેશનું ઉલ્લંઘન થશે તો 2000થી 5000 સુધીનો દંડ

ઉજ્જૈનના મેયર મુકેશ તતવાલે જણાવ્યું હતું કે, આ આદેશનું પહેલી વખત ઉલ્લંઘન કરવા બદલ 2,000 રૂપિયા અને બીજી વખત 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આગળ મેયરે કહ્યું, આ આદેશનો હેતુ સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. તેનો હેતુ મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવાનો નથી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું વતન ઉજ્જૈન તેના પવિત્ર મહાકાલ મંદિર માટે જાણીતું છે. વિશ્વભરમાંથી શિવભક્તો અહીં મહાકાલના દર્શન કરવા માટે આવે છે. સોમવારથી શરૂ થતા શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

આ પણ વાંચો: યોગીના માર્ગે ચાલ્યું આ રાજ્ય, યુપીની જેમ દુકાનો પર માલિકોની નેમ પ્લેટ લગાવવાનું જાહેર કર્યું ફરમાન

વર્ષ 2002માં પ્રસ્તાવને મંજુરી અપાયી હતી

તતવાલે જણાવ્યું હતું કે, ઉજ્જૈનની તત્કાલીન મેયર-ઇન-કાઉન્સીલે 26 સપ્ટેમ્બર, 2002માં દુકાનદારોને પોતાના નામ દર્શાવવાને લગતા પ્રસ્તાવને મંજુરી આપી હતી. ત્યારબાદ પ્રસ્તાવ પર આવેલ સૂચનોને ઔપચારિક રીતે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યા હતા. હવે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. અમલીકરણમાં વિલંબ થયો હતો કારણ કે નેમપ્લેટ શરૂઆતમાં સમાન કદ અને રંગની હોવી જોઈતી હતી. અત્યારે અમે આ શરતોને હળવી કરી છે. હવે દુકાનદારો નામ અને મોબાઈલ નંબર દર્શાવશે તો પણ પર્યાપ્ત રહેશે.

ગ્રાહકોને દુકાનદાર વિશે જાણવાનો અધિકાર

મેયર મુકેશ તતવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ આદેશ મધ્ય પ્રદેશ દુકાન અધિનિયમમાં સમાવિષ્ટ છે. તે ગ્રાહકની સલામતી વધારશે. તતવાલે કહ્યું, ઉજ્જૈન એક ધાર્મિક અને પવિત્ર શહેર છે. લોકો અહીં ધાર્મિક આસ્થા સાથે આવે છે. ગ્રાહક જેની પાસેથી સામાન ખરીદે છે તે દુકાનદાર વિશે તેમને જાણવાનો અધિકાર છે. જો કોઈ ગ્રાહક અસંતુષ્ટ હોય અથવા તેની સાથે છેતરપિંડી થઈ હોય તો દુકાનદાર વિશે માહિતી મેળવીને તેની સમસ્યાનું નિવારણ કરી શકે છે. 

આ આદેશ એટલે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 2028માં ઉજ્જૈનમાં સિંહસ્થ (કુંભ) મેળો યોજવાનો છે. જે દર 12 વર્ષે આયોજિત થતો એક મહત્વપૂર્ણ ધાર્મિક મેળો છે.

હરિદ્વારમાં પણ દુકાનદારોએ લગાવી પડશે નેમ પ્લેટ

હરિદ્વારમાં વહીવટીતંત્રે અને દુકાનદારો અને કાવડ યાત્રા માર્ગ પર આવેલા ઢાબા ચલાવનાર માલિકોને તેમના નામ, મોબાઇલ નંબર લખેલ નેમપ્લેટ લગાવવા કહ્યું છે અને જે આવું નહીં કરે તો તેમની દુકાનો કાવડ યાત્રા માર્ગથી દૂર કરવામાં આવશે.

યોગી સરકારે સૌપ્રથમ યુપીમાં આદેશ જાહેર કર્યો હતો

હાલમાં જ ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાવડ યાત્રા માર્ગ પરના દુકાનદારો માટે આ પ્રકારનો આદેશ જાહેર કર્યો હતો. આદેશ અનુસાર તમામ દુકાનો અને ગાડીઓ પર તેમના માલિકોએ નામ લખવાનું રહેશે જેથી કાવડ યાત્રીઓ જાણી શકે કે તેમણે કઈ દુકાનમાંથી સામાનની ખરીદી હતી. સીએમઓના જણાવ્યા અનુસાર, કાવડ યાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ પણ વાંચો: સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરવા મહારાષ્ટ્રથી 85 કાવડિયાઓનું આગમન

બિહારના દુકાનદારોએ સ્વેચ્છાથી નેમ પ્લેટ લગાવી

બિહારના બોધગયામાં આવેલ મહાબોધિ મંદિરમાં શ્રાવણ મહિનામાં હજારો કાવડિયાઓ દર્શન કરવા આવે છે. અહીના સ્થાનીય હિંદુ અને મુસ્લિમ દુકાનદારોએ પોતાના ફળની દુકાન આગળ નેમ પ્લેટ લગાવી છે.


Google NewsGoogle News