મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રથમ મુખ્યમંત્રી રહી ચૂકેલા 86 વર્ષીય દિગ્ગજ નેતાનું હાર્ટએટેકને લીધે નિધન
તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા હતા
image : DD NEWS |
Former CM Maharashtra Manohar Josi Passes Away: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થઈ ગયું છે. શિવસેનાના દિગ્ગજ નેતાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. 2 દિવસ પહેલા તેમને હાર્ટ એટેક આવતા તબિયત લથડી હતી ત્યારે તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને આઈસીયુમાં રખાયા હતા જ્યાં ડોક્ટરો સતત 2 દિવસથી તેમની સારવાર કરી રહ્યા હતા.
મનોહર જોશી 50 વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા
અહેવાલ અનુસાર, મનોહર જોશી લગભગ 50 વર્ષથી રાજકારણમાં સક્રિય હતા. તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મનોહર જોશી મુખ્યમંત્રી બનનાર શિવસેનાના પહેલા નેતા હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર બનીને તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે પાછું વળીને ક્યારેય જોયું નહોતું.
કયા કયા પદો પર રહી ચૂક્યા હતા?
તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા હતા. મનોહર જોશીને પણ કેન્દ્રીય મંત્રી બનવાની તક મળી હતી. આ રીતે તેઓ પોતાની રાજકીય કારકિર્દીને ઉંચાઈએ લઈ ગયા. એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન તેઓ લોકસભાના સ્પીકર તરીકે પણ નિયુક્ત થયા હતા.
બાલ ઠાકરેના નજીકના અને વિશ્વાસુ નેતા
મનોહર જોશી શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના નજીકના અને વિશ્વાસુ નેતા હતા. 1955માં જ્યારે શિવસેના મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતીને સત્તા પર આવી ત્યારે બાલઠાકરેએ તેમને મુખ્યમંત્રી બનાવ્યા. ત્યારે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. મનોહર જોશીની 14 માર્ચ 1995ના રોજ મુખ્યમંત્રી પદ પર નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 31 જાન્યુઆરી 1999 સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 3 વર્ષ 323 દિવસનો હતો. તેઓ તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા.