20 કરોડ નોકરી આપવાની જગ્યાએ 12 કરોડ છીનવી..' ભાજપના ચૂંટણી વચનો પર ખડગેના આક્રમક પ્રહાર

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
20 કરોડ નોકરી આપવાની જગ્યાએ 12 કરોડ છીનવી..' ભાજપના ચૂંટણી વચનો પર ખડગેના આક્રમક પ્રહાર 1 - image


Lok Sabha Elections 2024 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ રોજગારીનો મુદ્દો ઉઠાવી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો રોજગારી (Employment)નો છે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ‘રોજગાર ક્રાંતિ’ લાવીશું. આ સાથે તેમણે ‘ભારતીય ભરોસો’, ‘પ્રથમ નોકરી પાક્કી’ અને ‘પેપર લીકથી મુક્તિ’ જેવી ગેરંટી આપી છે.

‘અમે 30 લાખ નોકરીનું સર્જન કરીશું’ ખડગેનું ચૂંટણી વચન

ખડગેએ આજે એક્સ (ટ્વિટર) પર કહ્યું કે, અમારી સરકાર આવશે તો ‘ભારતી ભરોસા’ની ગેરેન્ટી હેઠળ 30 લાખ નોકરીનું સર્જન કરવામાં આવશે. ‘પ્રથમ નોકરી પાક્કી’ની ગેરેન્ટી હેઠળ એપ્રેન્ટિસશીપના અધિકાર દ્વારા દરેક ડિગ્રી/ડિપ્લોમા ધારકને વાર્ષિક રૂપિયા એક લાખના માનદ વેતન સાથે પ્રથમ નોકરીની ખાતરી આપીશું.

ખડગેએ ‘પેપર લીકથી મુક્તિ’ના મુદ્દાનો કર્યો ઉલ્લેખ

આ ઉપરાંત ખડગેએ ‘પેપર લીકથી મુક્તિ’ના મુદ્દાનો ઉલ્લેખ કરી લખ્યું છે કે, અમારી સરકાર આવશે તો કોંગ્રેસ નોકરી માટેની પરીક્ષામાં થતા પેપર લીકના મુદ્દાનો નિવેડો લાવવા અને પીડિતોને નાણાંકીય વળતર આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. તેમણે ‘યુવા રોશની’ ગેરેન્ટી હેઠળ કહ્યું કે, કોંગ્રેસ સ્ટાર્ટ-અપ માટે ફંડ ઓફ ફંડ્સ યોજનાની રચના કરશે અને 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાઓને લાભ મળી શકે તે માટે દેશના તમામ જિલ્લાઓમાં સમાન ફંડ 50 ટકા, 5000 કરોડ રૂપિયાની ફાળવણી કરીશું.

21 કરોડ નોકરીઓ છીનવી લીધી

ખડગેએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસંખ્ય રેલીઓમાં તમે સાંભળ્યું હશે કે, તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં કેટલી નોકરીઓનું સર્જન કર્યું. 10 વર્ષમાં 20 નોકરીઓ આપવાના હતા, પરંતુ 12 કરોડથી વધુ નોકરીઓ છિનવી લીધી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગિગ ઈકોનોમી માટે સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવશે. અમે ગિગ ઈકોનોમીમાં કામ કરતા શ્રમિકોના અધિકારીઓની રક્ષા કરવા માટે એક સામાજિક સુરક્ષા કાયદો બનાવીશું.

અમે અગ્નિવીર યોજના બંધ કરીશું : ખડગે

ખડગેએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ દેશભક્ત યુવાનો પર લાદવામાં આવેલી અગ્નિવીર યોજના બંધ કરશે. વ્યાપક બેરોજગારીને કારણે, કોંગ્રેસ તમામ વિદ્યાર્થી શૈક્ષણિક લોનના સંદર્ભમાં 15 માર્ચ, 2024 સુધીના વ્યાજ સહિત લોનના બાકી લેણાં માફ કરશે અને સરકાર દ્વારા બેંકોને ભરપાઈ કરવામાં આવશે. કોંગ્રેસ 21 વર્ષથી ઓછી ઉંમરના પ્રતિભાશાળી અને ઉભરતા ખેલાડીઓને દર મહિને 10,000 રૂપિયાની સ્પોર્ટ્સ સ્કોલરશિપ આપશે. કોંગ્રેસ સરકારી પરીક્ષાઓ અને સરકારી પોસ્ટ માટે અરજી ફી નાબૂદ કરશે. મહામારી દરમિયાન 1 એપ્રિલ 2020થી 30 જૂન 2021 સુધી સરકારી પરીક્ષામાં હાજર ન રહી શકનારા અરજદારોને કોંગ્રેસ એક વખત તક આપશે.


Google NewsGoogle News