AAPએ એકલા ચૂંટણી લડવાની વાત કરી, તો ખડગેએ કહ્યું, 'કોઈ આવે તો ઠીક, ન આવે તો ઠીક'

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
AAPએ એકલા ચૂંટણી લડવાની વાત કરી, તો ખડગેએ કહ્યું, 'કોઈ આવે તો ઠીક, ન આવે તો ઠીક' 1 - image

India Alliance : પંજાબના ખન્નામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શનિવારે પંજાબની 13 અને ચંડીગઢ લોકસભા બેઠ પર એકલા ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. હવે એક દિવસ બાદ લુધિયાના જિલ્લાના સમરાલામાં રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ એકલા દમ પર ચૂંટણી લડવાની વાત કહી દીધી. આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે આપની સાથે ગઠબંધન વચ્ચે પંજાબમાં એકલા ચૂંટણી લડવાની વાત કહી. જોકે, પંજાબ કોંગ્રેસના કેટલાક નેતા આપની સાથે ગઠબંધન ન કરવાની વાત હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂકી છે. તેમનું માનવું છે કે, રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

'કોઈ આવે તો ઠીક.... ન આવે તો ઠીક'

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કહ્યું કે, 'મોદી સરકારને હરાવવા માટે INDIA ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે. ક્યાંય ગઠબંધન ઠીક છે. ક્યાંક મિલાપ નથી થઈ રહ્યો. એવું સમજીને ચાલો કે આપણે લડવાનું છે. એકલા જ લડવાનું છે. અંત સુધી લડવાનું છે અને વિજય મેળવવાનો છે. કોઈ આવે તો ઠીક, ન આવે તો ઠીક છે. અમે આ નિર્ણયને સંપૂર્ણ દેશમાં લીધો છે. માત્ર પંજાબની જ વાત નથી. તમારે મજબૂતીથી લડવાનું છે.'

'લોકોને મળવું પડશે, ત્યારે જ જીત મળશે'

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે, 'જો કોંગ્રેસ કાર્યકર્તાઓને જીતવું હોય તો મેદાનમાં ઉતરવું પડશે. લોકોને મળવું પડશે. તેમની ગેરસમજ દૂર કરવી પડશે.'

તેમણે પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગને કહ્યું કે, 'બેઠક થતી રહેશે. સૌથી પહેલા લોકો વચ્ચે જવું પડશે. તેમની સાથે વાત કરવી પડશે. લોકોને એ જણાવવું પડશે કે આપણે શું કર્યું અને મોદી સરકારે શું કર્યું.'



Google NewsGoogle News