મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર'ની ચર્ચા છંછેડાઈ, શું ઉદ્ધવ-શિંદે ફરી થશે એકજૂટ?
Maharashtra Operation Tiger: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ 'ઓપરેશન ટાઇગર'ની ખૂબ જ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, શિવસેનાના શિંદે જૂથ દ્વારા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી)ના નેતાઓને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઓપરેશન ખાસ કરીને શિવસેના નેતા ઉદય સામંતના નેતૃત્વમાં કોંગ્રેસ અને ઠાકરે જૂથના વરિષ્ઠ નેતાઓના સંપર્કની ખબરો બાદ ચર્ચામાં આવ્યું છે. શિવસેનાના ઓપરશેન ટાઇગરને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવી હલચલ જોવા મળી રહી છે.
શિંદે અને ઠાકરે થશે એક?
આ ચર્ચાઓ વચ્ચે મંત્રી સંજય શિરસાટે શિવસેનાના બંને જૂથના વિલીનીકરણ અંગે મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં શિરસાટે કહ્યું કે, બંને શિવસેના જૂથ વચ્ચેની દૂરી હવે પહેલાં જેવી નથી રહી અને જો તક મળી તો હું ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ જરૂર કરીશ. હું શિવસેનાના વિભાજનથી ખૂબ જ દુઃખી છું અને જો સ્થિતિ અનુકૂળ રહી તો બંને જૂથ વચ્ચે સમાધાન સંભવ છે.
આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને સૌથી મોટો ઝટકો! આઠ ધારાસભ્યોએ AAPમાંથી આપ્યું રાજીનામું
સંજય શિરસાટના નિવેદનથી રાજકારણ ગરમાયું
સંજય શિરસાટનું આ નિવેદન મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે. હવે બધાની નજર એ વાત પર છે કે, ઠાકરે જૂથ તેના પર શું પ્રતિક્રિયા આપે છે. કારણ કે, આ નિવેદનથી મહારાષ્ટ્રના આગામી રાજકારણની વ્યૂહનીતિ પર અસર થઈ શકે છે.
મહાયુતિ MVAને આપશે ઝટકો?
મહારાષ્ટ્રમાં ગત બે ચૂંટણી બાદ રાજકીય સ્થિતિમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. નેતાઓનો પક્ષપલટો હજુ શરૂ જ છે. હાલ તમામ પાર્ટીઓ આગામી સ્થાનિક સરકાર અને મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે પોત-પોતાની વ્યૂહનીતિ પર કામ કરી રહી છે. જોકે, આ દરમિયાન મહારાષ્ટ્રમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે, મહાયુતિમાં સામેલ પાર્ટીઓ મહાવિકાસ અઘાડીને ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. જેમાં મહાયુતિની પાર્ટીઓ દ્વારા ઠાકરે જૂથના મોટા નેતાઓને પોતાના ગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Union Budget 2025: બજેટ પહેલા સોશિયલ મીડિયા પર જબરદસ્ત મીમ્સ થઈ રહ્યા છે વાઈરલ
એકનાથ શિંદેનું ઓપરેશન ટાઇગર
એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના 'ઓપરેશન ટાઇગર' હેઠળ ઉદ્ઘવ ઠાકરેની પાર્ટીના નેતાઓને પોતાની પાર્ટીમાં લાવવાના પ્રયાસ તેજ કરી દીધા છે. પૂણેના હડપસરથી પૂર્વ ધારાસભ્ય મહાદેવ બાબર અને કોથરૂડથી પૂર્વ ધારાસભ્ય ચંદ્રકાંત મોકાટેના એકનાથ શિંદે સાથે મુલાકાતના સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, શું તે પણ જલ્દી શિંદે જૂથમાં સામેલ થશે? આ સિવાય, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રવિન્દ્ર ધાંગેકરે પણ શિંદે સાથે મુલાકાત કરી છે. જોકે, તેમણે આને ફક્ત વ્યક્તિગત વિકાસ કાર્યોની ચર્ચા જણાવ્યું અને કહ્યું કે, તે હાલ કોંગ્રેસ પાર્ટીમાં જ રહેશે. તેમ છતાં રવિન્દ્ર ધાંગેકરના પક્ષપલટાની ચર્ચા તેજ થઈ રહી છે.