પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં જ વિવાદાસ્પદ IAS પૂજા ખેડકરનો પરિવાર ફરાર, ફોન બંધ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં જ વિવાદાસ્પદ IAS પૂજા ખેડકરનો પરિવાર ફરાર, ફોન બંધ 1 - image


IAS Officer Pooja Khedkar Controversy : મહારાષ્ટ્ર પોલીસની વિવાદાસ્પદ ટ્રેઇની ઓફિસર પૂજા ખેડકરના માતા મનોરમાં ખેડકર અને પિતા દિલીપ ખેડકર ફરાર થઈ ગયા છે. પોલીસે સોમવારે (15 જુલાઈ) કહ્યું કે, અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન બંધ કરી દીધો છે. અમે બાનેર રોડ પર આવેલા તેમના બંગલા પર ગઈકાલે અને આજે બે વખત ગયા હતા, જોકે તે બંને મળ્યા નથી. અમે તેઓને શોધી લઈશું, પછી તપાસ કરાશે અને કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

પૂજાની માતાએ પિસ્તોલથી ખેડૂતને આપી હતી ધમકી

વાસ્તવમાં પૂજાની માતા મનોરમાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પિસ્તોલથી ખેડૂતને ધમકાવતી જોવા મળી હતી. આ ઘટના પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામની છે. આ ગામમાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી હતી. પૂજાની માતા અને પિતા વિરુદ્ધ આ જ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મનોરમાએ તેમને ધમકી આપી હતી તેવી એક ખેડૂતની ફરિયાદના આધારે પૂજા ખેડકરના માતા-પિતા અને પાંચ અન્યો સામે શુક્રવારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ બનાવ ગયાં વર્ષનો હોવાનું કહેવાય છે. પરંતુ, તાજેતરમાં પૂજા ખેડકરે ટ્રેઈની આઈએએસ હોવા છતાં ગાડી, ઓફિસ વગેરે માટે જે રીતે ત્રાગાં કર્યાં અને અધિકૃત ન હોવા છતાં પણ પોતાની ખાનગી કાર પર લાલબત્તી લગાડી હોવાના તથા માંદગીનાં ખોટાં પ્રમાણપત્રો રજૂ  કર્યા હોવાના તથા નોન ક્રિમી લેયરનો ખોટી રીતે લાભ લીધો હોવાના આક્ષેપો બાદ આ જૂનો વીડિયો વાયરલ થયો હતો અને તેને પગલે આ એફઆઈઆર થઈ છે. 

પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં જ વિવાદાસ્પદ IAS પૂજા ખેડકરનો પરિવાર ફરાર, ફોન બંધ 2 - image

પૂજાની માતાએ જમીનનો કબજો લેવાનો પ્રયાસ કર્યાનો દાવો

સ્થાનિક લોકોનો આરોપ છે કે, ખેડકર પરિવારે બાઉન્સરની મદદથી પડોશી ખેડૂતોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો અને તેમને ધમકી આપી. ખેડૂત કુલદીપ પાસલકરે દાવો કર્યો હતો કે, મનોરમા બળજબરીથી તેમની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયો વાઈરલ થયા બાદ 13 જુલાઈના રોજ પૌડ પોલીસ સ્ટેશનમાં પૂજાની માતા અને પિતા સહિત સાત લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે. પોલીસે જણાવ્યું કે, FIRમાં આર્મ્સ એક્ટના આરોપો પણ ઉમેરાયા છે. જો કે, પુણેના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે 12 જુલાઈના રોજ કહ્યું હતું કે, આ ઘટના ગયા વર્ષે પાંચ જૂને ધડાવલી ગામમાં બની હતી. ત્યારબાદ ખેડૂતો વતી ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ફરિયાદમાં પિસ્તોલનો કોઈ ઉલ્લેખ નહોતો. પુણે પોલીસે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે મનોરમા પાસે પિસ્તોલનું લાઇસન્સ છે કે નહીં.

પૂજા ખેડકર કોણ છે?

મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) આઇએએસ અધિકારી છે. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બૅચની અધિકારી છે અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં દેશભરમાં 841 મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024 ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા.

આ પણ વાંચો : તીસ્તા નદીને લઈને બાંગ્લાદેશનો ચીનને ઠેંગો, વિવાદમાં ભારતની એન્ટ્રી થતાં ડ્રેગન ભડક્યું

પૂજાના કામ પણ વિવાદાસ્પદ

પૂનામાં કાર્યરત હતી ત્યારે પૂજાએ પોતાના માટે અલગ ઓફિસ અને અલગ કારની માંગ કરી હતી. ઓફિસ ન મળતાં એણે પરવાનગી વિના જ એડિશનલ કલેક્ટરની ઑફિસ પર કબજો જમાવી લીધો હતો અને ઑફિસનું ફર્નિચર પણ પોતાની પસંદ મુજબ બદલાવી દીધું હતું. એ પોતાની અંગત કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગત લાભ માટે વાહનો પર લાલ બત્તીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. દેશના વડાપ્રધાનને સુદ્ધાં એમની ગાડી પર લાલ બત્તી લગાવવાની છૂટ નથી હોતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર વગેરે આપાતકાલીન (ઇમરજન્સી) વાહનોને જ લાલ બત્તી વાપરવાની છૂટ હોય છે. લાલ બત્તી ઉપરાંત પૂજાએ પોતાની ઓડી સિડાન કાર પર વીઆઈપી નંબર પ્લેટ અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ લગાડેલું હતું. એ જ કાર ભૂતકાળમાં એકથી વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ ડંડાઈ ચૂકી છે.

રાજકીય વગનો દુરુપયોગ

પૂજાના પિતાએ પોતાની રાજકીય વગનો દુરુપયોગ કરીને તેમની પુત્રીની માંગણીઓ પૂરી કરવા માટે જિલ્લા કલેક્ટરની કચેરી પર દબાણ કર્યું હોવાનું કહેવાયું છે. પૂજા અને તેના પિતાના ગેરવર્તનને કારણે પૂનાના જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકારને ફરિયાદ કરી હતી, જેને પરિણામે થોડા દિવસ અગાઉ પૂજાની બદલી પૂનાથી વાશિમ કરી દેવાઈ હતી.

આ પણ વાંચો : મંદીના એંધાણ વચ્ચે ચીન કરી રહ્યું છે એવું કામ જેના પર આખી દુનિયાની નજર, ગુરુવારે આવશે પરિણામ

લાગ્યા ગંભીર આરોપ

પૂજા ખેડકર અગાઉ પણ વિવાદનું કારણ બની ચૂકી છે. આ ટ્રેઇની ઑફિસરે પોતે દિવ્યાંગ છે અને પછાત વર્ગ (ઓબીસી)ની છે એવા બનાવટી દસ્તાવેજ રજૂ કરીને સ્પેશિયલ ક્વોટા પર ઑફિસર પદ મેળવ્યું હોવાના ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. અંગત લાભ માટે પદનો દુરુપયોગ કરવાના આરોપસર પૂજા વિરુદ્ધ તપાસ માટે તપાસ સમિતિ નીમવામાં આવી છે. 

વિકલાંગ હોવાનો શંકાસ્પદ દાવો

2021 માં પૂજાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. પોતે ‘અંધત્વ અને માનસિક બીમારી’ ધરાવતી હોવાના બનાવટી સર્ટિફિકેટ રજૂ કરીને પૂજાએ વિકલાંગો માટેના અનામત ક્વોટામાંથી સીટ મેળવી લીધી હતી, પણ પછી એ પોતાની વિકલાંગતા સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. યુપીએસસીએ પૂજાને એપ્રિલ 2022 માં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવવા કહ્યું તો પૂજાએ કોવિડ-19નું બહાનું આગળ ધરીને એ પરીક્ષણ મુલતવી કરાવી દીધું હતું. આંખોમાં ખરાબી હોવાનું સાબિત કરવા માટે યુપીએસસીએ પૂજાને મગજની એમઆરઆઈ તપાસ કરાવવા જણાવ્યું હતું, જેના જવાબમાં પૂજાએ એક ખાનગી સંસ્થામાં કરાવેલો એમઆરઆઈ રિપોર્ટ રજૂ કર્યો હતો, પણ એ બનાવટી લાગતાં યુપીએસસીએ એને નામંજૂર કર્યો હતો. જોકે, પછી તેનું એમઆરઆઈ પ્રમાણપત્ર સ્વીકારાયું હતું અને આઈએએસ અધિકારી તરીકે તેની નિમણૂક થઈ હતી.

આ પણ વાંચો : લિકર પોલિસી કેસમાં કેજરીવાલે હજુ જેલમાં જ રહેવું પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

બનાવટી ઓબીસી પ્રમાણપત્ર

પૂજાના પિતાએ લોકસભા ચૂંટણી લડવા માટે એમની વિગતો જાહેર કરી હતી, જેને આધારે પૂનાના એક કાર્યકરે પૂજાના પછાત વર્ગ(ઓબીસી)ના હોવા બાબતે સવાલ ઉઠાવ્યો હતો. નિયમો મુજબ તો જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય, ફક્ત એ જ ઓબીસી નોન-ક્રીમિલેયર કેટેગરી હેઠળ આવે છે, જ્યારે કે પૂજાના પિતાની વાર્ષિક આવક તો 40 કરોડ હતી. પૂજા ખેડકરની આ બદમાશી સામે તપાસ સમિતિ શું રિપૉર્ટ આપે છે, અને એના પર લગાવાયેલા આરોપ સાચા હોય તો આગળ શું કાર્યવાહી કરાય છે, એ જોવું રસપ્રદ રહેશે.


Google NewsGoogle News