માત્ર 20 મિનિટની મુલાકાતમાં ફડણવીસે શિંદેને ડેપ્યુટી CM માટે મનાવી લીધા, જાણો ઇનસાઇડ સ્ટોરી
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસ શિવસેના પ્રમુખ એકનાથ શિંદે માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે. શિંદેને ન ફક્ત ખરાબ સ્વાસ્થ્યનો સામનો કરવો પડ્યો, પરંતુ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્ત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સામેલ થવા માટેનું દબાણ સહન કરવું પડ્યું હતું. અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી રૂપે કામ કર્યા બાદ, શિંદેને સેકન્ડ ઇન કમાન્ડનું પદ મંજૂર ન હતું, તેથી તેઓએ શરુઆતમાં સંગઠનને મજબૂત કરવાને પ્રાથમિકતા આપી. પરંતુ સવાલ એ થાય છે કે, દેવેન્દ્ર ફડણવીસ સાથેની બેઠક બાદ એવું તો શું થયું કે, શિંદે નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારવા માની ગયા?
મહાયુતિ ગઠબંધનમાં આંતરિક વિખવાદની અટકળો સતત વધી રહી છે, જ્યારે શિંદે સતારામાં પોતાના પૈતૃક ગામ જતા રહ્યા. જોકે, તે થોડા સમય બાદ મુંબઈ પરત ફર્યા અને ગઠબંધનના પ્રમુખ નેતાઓ સાથે વિચાર-વિમર્શ ફરી શરુ કર્યું. મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ, વર્ષા બંગલા પર ફડણવીસ સાથે થયેલી વાતચીત શિંદેને નાયબ મુખ્યમંત્રી પદનો સ્વીકાર કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ LIVE: મહારાષ્ટ્રમાં સસ્પેન્સ સમાપ્ત, ડેપ્યુટી CM બનવા રાજી શિંદે
શિંદેને મનાવવામાં ફડણવીસની મુખ્ય ભૂમિકા
આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ફડણવીસે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ, ફડણવીસ વર્ષામાં શિંદેને મળ્યા અને તેમને મંત્રીમંડળમાં સામેલ થવાનો આગ્રહ કર્યો. આ 20-મિનિટની બેઠક દરમિયાન, શિંદેએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ કથિત રીતે ગૃહ વિભાગ, MSRDC અને ઊર્જા સહિતના પ્રમુખ વિભાગ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જે શાસન અને તેમની પાર્ટીની રાજકીય સ્થિતિ બંને માટે મહત્ત્વપૂર્ણ છે.
મીડિયા સાથે વાત કરતાં, ફડણવીસે કહ્યું, 'શિવસેના અને મહાયુતિના સભ્યોની ઇચ્છા છે કે, શિંદે આ સરકારમાં અમારી સાથે હોય. મને વિશ્વાસ છે કે, તે અમારી સાથે જોડાશે.'
શિવસેનાના ધારાસભ્યોએ પણ શિંદેને સમજાવ્યા
શિવસેનાના ધારાસભ્યો અને પૂર્વ કેબિનેટ સાથીઓએ પણ શિંદેને મનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શરુઆતમાં શિંદે પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવવા માગતા હતા. રાજ્યભરના ધારાસભ્યો, સાંસદો અને શિવસૈનિકોની માગના કારણે તેઓને ફરી નાયબ મુખ્યમંત્રી બનવાનો વિચાર કરવો પડ્યો. શિવસેનાના વરિષ્ઠ નેતાઓએ પક્ષનું મનોબળ અને એકતા જાળવવા નવી સરકારમાં શિંદેની ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ 'એકનાથ શિંદેનો સમય સમાપ્ત...' CM પદ ગુમાવતાં જ ઉદ્ધવ સેનાના દિગ્ગજે કર્યો કટાક્ષ
પાર્ટીના ધારાસભ્ય ભરત ગોગાવલેએ જણાવ્યું હતું કે, "અમે શિંદેને સરકારનો ભાગ બનવા વિનંતી કરી હતી, કારણ કે તેનાથી પાર્ટી અને વહીવટીતંત્ર બંનેને મદદ મળશે." તેવી જ રીતે, ઉદય સામંતે જણાવ્યું કે, અપક્ષ સહિત લગભગ 60-61 ધારાસભ્યોએ આ પદ માટે શિંદેને મજબૂતી સાથે સમર્થન આપ્યું હતું.
શિંદેનો ખચકાટ પક્ષની વફાદારી સાથે વ્યક્તિગત કદને બેલેન્સ કરવાથી ઉદ્ભવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીની ભૂમિકાનો સ્વીકાર કરવાથી સરકારમાં શિવસેનાની ઉપસ્થિતિ મજબૂત થશે અને સુનિશ્ચિત થશે કે, પાર્ટીના હિત સુરક્ષિત રહેશે.
શિવસેના માટે કેટલો સારો નિર્ણય?
જોકે, મુખ્યમંત્રી બાદ નાયબ મુખ્યમંત્રી બનવાલનું શિંદેને કદાચ પસંદ નહતું. બીજી બાજુ જો શિંદે નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકાર નથી કરતાં, તો તેમાં મહાયુતિ ગઠબંધનમાં શિવસેનાનો પ્રભાવ કમજોર કરી શકે છે અને તેમની ભવિષ્યની રાજકીય સંભાવનાઓ જોખમમાં પડી શકે છે. શિંદેનો ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જોડાવાનો નિર્ણય એ મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં નોંધપાત્ર ક્ષણ છે. આ મહાયુતિ ગઠબંધન હેઠળ શિવસેનાની ભૂમિકા અને પાર્ટીની અંદર શિંદેનું નેતૃત્ત્વ મજબૂત કરે છે.
સારા અને મોટા પોર્ટફોલિયોના આશ્વાસને પણ ગઠબંધન સદ્ભાવ બનાવી રાખવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જે પ્રકારે, મહારાષ્ટ્ર મહાયુતિ સરકાર હેઠળ આ નવા અધ્યાયની શરુઆત કરી રહ્યું છે, રાજ્યમાં અને રાજકીય ગતિશીલતાને આકાર આપવામાં શિંદેની મુખ્ય ભૂમિકા રહેશે.