મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે સાથે ભાજપના ગઠબંધનથી ઉદ્ધવ ઠાકરેને થશે ફાયદો? જાણો ચૂંટણી સમીકરણ

શિંદે, અજિત બાદ ભાજપ રાજ ઠાકરેને ગઠબંધનમાં સામેલ કરવાની ચર્ચા અંતિમ તબક્કામાં

2019ની વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીના 101 ઉમેદવારમાંથી માત્ર એકની જ જીત

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે સાથે ભાજપના ગઠબંધનથી ઉદ્ધવ ઠાકરેને થશે ફાયદો? જાણો ચૂંટણી સમીકરણ 1 - image

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા જાહેર થયેલા ઉમેદવારો મતદારોને રિઝવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે, તો જુદા જુદા પક્ષોએ અન્ય પક્ષો અને નેતાઓને પોતાના પક્ષમાં જોડાવાની કવાયતો પણ તેજ બનાવી દીધી છે. ત્યારે વાત કરીએ મહારાષ્ટ્રની તો રાજ્યમાં છેલ્લા બે વર્ષની રાજકારણમાં ઉથલ-પાથલના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ભાજપે રાજ્યની સૌથી મોટી રાજકીય પાર્ટી શિવસેનાને તોડી નાખી, તો બીજીતરફ શરદ પવાર (Sharad Pawar)ના ભત્રીજા અજિત પવારે પણ એનસીસીના પણ બે ભાગલા પાડી દીધા હતા. તો ભાજપ હવે રાજ ઠાકરેની પાર્ટી મનસેના ગઠબંધનમાં સામેલ કરવાની તૈયારીમાં લાગી ગયું છે.

ભાજપ રાજ ઠાકરેને ગઠબંધનમાં સામેલ કરશે

રાજ્યમાં BJP, એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેના (Shiv Sena) અને અજિત પવાર (Ajit Pawar)ની NCPની ગઠબંધન સરકાર હોવા છતાં ભાજપને લાગી રહ્યું છે કે, રાજ્યમાં ‘ઠાકરે’ સાથ મેળવ્યા વગર જીતનું સ્વપ્ન પુરુ નહીં થાય. તેથી જ શિવસેના અને એનસીપી તોડી શિંદે અને અજિત જેવા દિગ્ગજ ચહેરાઓને પોતાની સાથે લેવા છતાં ભાજપ રાજ ઠાકરે (Raj Thackeray)ને પોતાના ગઠબંધનમાં સામેલ કરી રહી છે.

રાજ ઠાકરેની શાહ અને નડ્ડા સાથે મુલાકાત

નવી દિલ્હીમાં તાજેતરમાં જ રાજ ઠાકરેની અમિત શાહ (Amit Shah) અને જે.પી.નડ્ડા (JP Nadda) સાથે મુલાકાત થયા બાદ ભાજપ સાથે ગઠબંધન ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રાજ ઠાકરની હિન્દુત્વ મામલે કટ્ટર ભૂમિકા અને તેમની લોકપ્રિયતા ભાજપને લલચાવી રહી છે.

રાજ ઠાકરે પાસે કેટલા વોટ?

વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટી MNSએ 101 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જોકે તેમાંથી માત્ર એક જ ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે તેના 86 ઉમેદવારોના જામીન પણ જપ્ત થઈ ગયા હતા. 2019માં મનસેના 101 ઉમેદવારોને કુલ 12,42,135 મતો મળ્યા હતા, જે રાજ્યના કુલ મતદાનના 2.25 ટકા હતું, તેથી જ મતોના ગણિત મુજબ ભાજપ રાજ ઠાકરેને પોતાનો સાથી બનાવી રહી છે.

ભાજપને રાજ ઠાકરેથી નુકશાન થસે કે ફાયદો?, જાણો સમીકરણ

ઉદ્ધવ ઠાકરેને થશે ફાયદો : જાણકારોનું માનવું છે કે, જો રાજ ઠાકરે ભાજપમાં સામેલ થઈ જશે તો મરાઠી મતદારોની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) તરફી સહાનુભૂતી વધી શકે છે. જે મતદારો રાજને પસંદ કરે છે, પરંતુ ભાજપના વિરોધમાં ઉદ્ધવની શિવસેનાના પક્ષને ફાયદો પહોંચાડી શકે છે.

મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીયો થશે નારાજ : ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો અગાઉ મુંબઈમાં રેલવેની પરિક્ષા યોજાઈ હતી, જેમાં રાજ અને તેમના સમર્થકોએ પ્રાંત અને ભાષાના નામે ઉત્તર ભારતથી આવેલા પરિક્ષાર્થીઓ સાથે મારપીટ કરી હતી, ત્યારે રાજ ઠાકરેની ભાજપ નેતાઓ સાથેની તસવીરો સામે આવ્યા બાદ કોંગ્રેસે હવે આ મુદ્દો ઉઠાવી રાજ ઠાકરે સામે આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. તેથી જ જો રાજ ભાજપનો હાથ પકડશે તો મારપીટના વિવાદના કારણે મુંબઈ, મહારાષ્ટ્રના પુણે, નાસિક, નાગપુર જેવા મહાનગરોમાં રહેતા ઉત્તર ભારતીય મતદારો ભાજપથી નારાજ થઈ શકે છે.

ગઠબંધનમાં વધશે વિવાદ : રાજની ગઠબંધનમાં એન્ટ્રી થયા બાદ ભાજપ, શિંદેની શિવસેના અને અજિતની એનસીપી વચ્ચે બેઠક વહેંચણી મામલે મતભેદ વધી શકે છે. રાજ્યમાં કુલ 48 લોકસભા બેઠકો છે, જેમાંથી ભાજપે 20 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જોકે શિંદે અને પવાર જૂથે બેઠક વહેંચણી અંગે હજુ પણ કોઈ નિર્ણય લીધો નથી, તેથી રાજની એન્ટ્રી બાદ બેઠક વહેંચણીનો મુદ્દો વધુ પેચીદો બની શકે છે.


Google NewsGoogle News